IPL 2024 : પંજાબ અને સનરાઈઝર્સ ત્રીજી જીત મેળવવા ઉતરશે મેદાનમાં, ચંડીગઢમાં થશે ટક્કર

April 09, 2024

IPL 2024ની 23મી મેચમાં આજે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર જોવા મળશે. બંને વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. આ મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની રહેશે. બંને ટીમો આજે આ સિઝનમાં તેમની ત્રીજી જીત મેળવવાની કોશિશ કરશે. અત્યાર સુધી હૈદરાબાદ અને પંજાબે 4-4 મેચ રમી છે, જેમાં બંનેએ 2-2 જીતી છે. જો કે હૈદરાબાદનો નેટ રન રેટ પંજાબ કરતા સારો છે. મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે સંતુલિત લાગે છે. જો કે બેટર્સને આ પિચ વધુ મદદ મળે છે. અહીં સ્પિનરો કરતાં ફાસ્ટ બોલરો વધુ અસરકારક સાબિત થાય છે. IPLની પ્રથમ મેચ આ મેદાન પર પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 174 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતા પંજાબે જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે અહીં બેટિંગ થોડી સરળ છે. IPLમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો પંજાબ સામે હૈદરાબાદનું પલડું ભારે છે. IPLમાં બંને ટીમો વચ્ચે કુલ 21 મેચ રમાઈ છે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 14 મેચમાં જીત નોંધાવી છે જ્યારે પંજાબ કિંગ્સે 7 મેચ જીતી હતી.