ઈરાનના મંત્રીનું મોટું નિવેદન, કહ્યું- 'ગલ્ફથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરી દઈશું'

March 06, 2026

દિલ્હી : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે ઈરાનના વિદેશ બાબતોના ઉપ-મંત્રી ડૉ. સઈદ ખતીબઝાદેહ ભારતની મુલાકાતે છે. દિલ્હીમાં આયોજિત 'રાયસીના સંવાદ 2026'(Raisina Dialogue 2026)માં વક્તા તરીકે હાજર રહેલા ખતીબઝાદેહે વર્તમાન યુદ્ધની સ્થિતિ પર ગંભીર ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચેની સભ્યતાના મૂળ એકબીજા સાથે જોડાયેલા છે અને ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે. જોકે, વર્તમાન સંઘર્ષ અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે, અમેરિકાએ ઈરાનના અસ્તિત્વને જ સમાપ્ત કરવાનો નિર્ણય કરી લીધો છે, જેના કારણે ઈરાન પાસે હવે પ્રતિકાર કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.


જંગની ગંભીરતા વિશે વાત કરતાં ડૉ. સઈદ ખતીબઝાદેહે કહ્યું કે, 'જ્યારે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, ત્યારે મારા દેશવાસીઓ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવતી નિરંતર બોમ્બમારોનો સામનો કરી રહ્યા છે. તેહરાન પર સતત હુમલા થઈ રહ્યા છે.' તેમણે આ લડાઈને ઈરાન માટે એક 'વીરતાપૂર્ણ અને રાષ્ટ્રવાદી યુદ્ધ' ગણાવ્યું હતું. તેમણે હુંકાર કર્યો હતો કે, અમેરિકન અને ઈઝરાયલી અત્યાચારોને રોકવા માટે ઈરાન પોતાની છેલ્લી ગોળી અને છેલ્લા સૈનિક સુધી લડત આપશે. તેમના મતે, હુમલાખોરોને પાછળ ધકેલવા એ જ અત્યારે ઈરાનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.