ઈરાન જ નહીં ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયો માટે પણ ઓપરેશન સિંધુ ચલાવશે સરકાર

June 19, 2025

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ દિવસેને દિવસે વધુ ગંભીર રૂપ લઈ રહ્યું છે. એવામાં ભારતે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બચાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે. જે હેઠળ ભારતીયોનો પહેલો જથ્થો પરત આવી પણ ગયો છે. હવે સરકારે જાહેરાત કરી છે કે ઈરાનની સાથે સાથે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પણ સરકાર મદદ કરશે. 

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જે ભારતીયો ઈઝરાયલ છોડી સ્વદેશ પરત આવવા માંગે છે તેમને મદદ કરવામાં આવશે. ઈઝરાયલમાં રહેતા ભારતીયોને પહેલા સરહદના રસ્તે કોઈ સુરક્ષિત સ્થાન પર લઈ જવાશે અને પછી ત્યાંથી વિમાન મારફતે ભારત લાવવામાં આવશે. 

ભારતીય વિદેશ મંત્રાલયએ સત્તાવાર નિવેદન આપી કહ્યું છે, કે 'ઈઝરાયલ છોડવા માંગતા ભારતીયોને ત્યાંથી રેસ્ક્યૂ કરવામાં આવશે.' સ્વદેશ પરત આવવા માંગતા ભારતીયોએ જો તેલ અવિવ સ્થિત ભારતીય એમ્બેસીમાં નોંધણી ન કરાવી હોય તો પહેલા તે કરાવવાની રહેશે. રજિસ્ટ્રેશન તથા ગમે તે અન્ય કોઈ મૂંઝવણને લઈને કોઈ સવાલ હોય તો એમ્બેસીના કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકશે. 

નોંધનીય છે કે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સૈન્ય સંઘર્ષ શરૂ થયો તે બાદ પણ ભારતીય વિદેશ મંત્રાલય તથા એમ્બેસી દ્વારા ત્યાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરીને સાવચેત રહેવાની સલાહ આપી હતી તથા ઈરાનનું તેહરાન શહેર છોડવા માટે સલાહ આપી હતી. 

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર ઈઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાનમાં 639 લોકોના મોત થયા છે જેમાં 263 સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. બીજી તરફ ઈરાને ઈઝરાયલ પર અત્યાર સુધી સેંકડો ડ્રોન અને 400થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો છે.