ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભારતીયોને લઈ ફ્લાઈટ રાજધાની પહોંચી

June 21, 2025

દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર શુક્રવારે મોડી રાત્રે ઇરાનથી 290 ભારતીય નાગરીકને લઇને ઓપરેશન સિંધુની ફ્લાઇટ રાજધાની આવી પહોંચી છે. વિમાનમાંથી ઉતરતાની સાથે જ હિન્દુસ્તાન ઝિંદાબાદના અને ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. આ નજારો જોવા જેવો હતો. લોકો દેશભક્તિ જોઇને ભાવુક થઇ ગયા હતા. એક-બીજાને ગળે લગાવી ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. ઈરાનથી ભારત પરત ફરેલા મોટાભાગના વિદ્યાર્થીઓ જમ્મુ અને કાશ્મીરના હતા. 

કેટલાક વિદ્યાર્થીઓ દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના પણ છે. પરત ફરનારાઓમાં મોટાભાગના એવા છે જે ઈરાન યાત્રા પર ગયા હતા જ્યારે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં તબીબી અભ્યાસ કરી રહ્યા હતા. તેહરાન યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ કહ્યું, 'આ યાત્રા સંઘર્ષોથી ભરેલી હતી, પરંતુ ભારતીય દૂતાવાસ અને ભારત સરકારની મદદથી અમે સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શક્યા. અમારા માતા-પિતા ખૂબ ચિંતિત હતા.'