ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

June 24, 2025

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ધ્યાનમાં રાખીને ભારતના ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મંગળવારે (24મી જૂન) 161 ભારતીય નાગરિકોનું પહેલું ગ્રુપ ઈઝરાયલથી પરત લાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિટાએ દિલ્હી એરપોર્ટ પર આ મુસાફરોનું સ્વાગત કર્યું. આ દરમિયાન, ભારત પરત ફરેલા નાગરિકોએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેટલીક તસવીરો પોસ્ટ કરીને લખ્યું , 'ઓપરેશન સિંધુ હેઠળ ઈઝરાયલથી 161 ભારતીય નાગરિકોના પહેલું ગ્રુપ ભારત પરત ફર્યું છે. તે આજે (24મી જૂન) સવારે 8:20 વાગ્યે જોર્ડનથી નવી દિલ્હી સુરક્ષિત રીતે પહોંચ્યા. વિદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.' ઈઝરાયલથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું, 'ઇઝરાયલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, પરંતુ તેમ છતાં ભારત સરકારે અમને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હું ભારત સરકારનો આભાર માનું છું.' નોંધનીય છે કે, ઓપરેશન સિંધુ હેઠળ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઈરાનથી સુરક્ષિત રીતે પરત ફર્યા છે. ત્યારે હવે ઈઝરાયલમાં ફસાયેલા ભારતીયોની વાપસી પણ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ ઈરાન અને ઈઝરાયલ સીઝફાયર માટે સહમત થયા હતી. ત્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાને મંગળવારે (24મી જૂન) મધ્ય અને દક્ષિણ ઈઝરાયલ પર આઠ બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. આમાંથી એક મિસાઈલ બેરશેબામાં એક એપાર્ટમેન્ટ પર પડી હતી, જેમાં ત્રણ લોકો મોત થયા છે અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.