તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ

April 08, 2026

ઈરાન અને આસપાસના વિસ્તારમાં બદલાતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં વસતા તમામ ભારતીય નાગરિકો માટે આજે(8 એપ્રિલ) એક નવી અને અત્યંત મહત્ત્વની એડવાઈઝરી જાહેર કરી છે. આ અગાઉ 7 એપ્રિલ 2026ના રોજ પણ સૂચના આપવામાં આવી હતી, જેનો આજના પરિપત્રમાં ફરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તાત્કાલિક ઈરાન છોડવાની સૂચના

ભારતીય દૂતાવાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેઓએ વહેલી તકે ઈરાન છોડી દેવો જોઈએ. આ માટે નાગરિકોએ એમ્બેસી સાથે સતત સંપર્કમાં રહેવા અને દૂતાવાસ દ્વારા સૂચવવામાં આવેલા સુરક્ષિત રૂટનો જ ઉપયોગ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.

એડવાઈઝરીમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, કોઈ પણ ભારતીય નાગરિકે એમ્બેસીની પૂર્વ મંજૂરી કે સંકલન વગર આંતરરાષ્ટ્રીય જમીની સરહદો ઓળંગવાનો પ્રયાસ કરવો નહીં. સુરક્ષાના કારણોસર દૂતાવાસના માર્ગદર્શન હેઠળ જ આગળ વધવું હિતાવહ છે.

ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો

મુશ્કેલીના સમયે મદદ માટે ભારતીય દૂતાવાસે નીચે મુજબના ઈમરજન્સી મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી જાહેર કર્યા છે:

• મોબાઇલ નંબરો: +98 912 810 9115, +98 912 810 9102, +98 912 810 9109, +98 993 217 9359.

• ઈમેલ: cons.tehran@mea.gov.in