'પહલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો, આતંકીઓ હજુ સુધી કેમ નથી પકડાયા', ખડગેએ સરકારને ઘેરી

July 21, 2025

આજે સંસદનું ચોમાસું સત્ર શરુ થયું, પરંતુ સત્ર શરુ થતાં જ ગૃહમાં હોબાળો થયો, ત્યારબાદ ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષ લોકસભામાં હોબાળો કરી રહ્યું છે, જેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, 'તમે જે મુદ્દા પર ચર્ચા કરવા માંગો છો તે પ્રશ્નકાળ પછી થશે. ચર્ચા નિયમો મુજબ કરવામાં આવશે.' વિપક્ષના હોબાળા પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર છીએ. અગાઉ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે આજે બપોરે 2:30 વાગ્યે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક મળશે. તેમાં નિર્ણય લેવામાં આવશે. સર્વપક્ષીય બેઠકમાં દરેક પક્ષના નેતાઓએ કહ્યું છે કે ચર્ચા થવી જોઈએ. જો તેઓ આટલો હંગામો કરશે તો ચર્ચા કેવી રીતે થશે. ચોમાસુ સત્રના પહેલા દિવસે આટલો હંગામો યોગ્ય નથી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મેં 267 હેઠળ ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે, મેં તે નિયમો મુજબ આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પહેલગામ હુમલો 22 એપ્રિલે થયો હતો છતાં હજુ સુધી આતંકવાદીઓ પકડાયા નથી, ન તો તેમને ઠાર મરાયા છે. તેમના જ LGએ સ્વીકાર્યું કે ગુપ્તચર નિષ્ફળતા છે. અમને માહિતી આપો. ખડગેએ કહ્યું કે યુએસ પ્રમુખ ટ્રમ્પે 24 વાર કહ્યું કે મારા હસ્તક્ષેપને કારણે યુદ્ધ સમાપ્ત થયું. આ દેશ માટે અપમાનજનક છે.   વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની માંગ પર, ગૃહના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે એવો સંદેશ ન જવો જોઈએ કે સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માંગતી નથી. સરકાર તેની ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં સમય ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. ઓપરેશન સિંદૂરના આઠ દિવસમાં જે બન્યું તે આઝાદી પછી દેશમાં કોઈપણ ઓપરેશન દરમિયાન ક્યારેય બન્યું ન હતું. કેન્દ્ર સરકાર આ સત્રમાં કુલ 8 નવા બિલ રજૂ કરવા અને પસાર કરવાની તૈયારી કરી રહી છે. આ સત્ર આજથી શરુ થઈ ગયું છે અને હવે 19 ઑગસ્ટ સુધી ચાલશે. અગાઉ ચોમાસું સત્ર 12 ઑગસ્ટ સુધી ચાલવાનું હતું, જેને બાદમાં એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ બહાર પત્રકારોને સંબોધ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે વરસાદ દરેક પરિવારના અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ છે. આવનારા દિવસોમાં દેશને તેનાથી લાભ થશે. ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દુનિયાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈન્યનું સામર્થ્ય જોયું.  પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'ભારતીય સેનાએ આતંકવાદીઓના ઘરમાં ઘૂસીને તેને 22 મિનિટમાં ઠાર કર્યા. અમે 100% લક્ષ્ય હાંસલ કર્યું. ભારતની લશ્કરી શક્તિએ બતાવ્યું છે કે તે કેટલી ઝડપથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. ભારતમાં બનેલી લશ્કરી શક્તિએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.'  તેમજ આ વખતે સત્રમાં ખૂબ હોબાળો થવાની શક્યતાઓ પણ છે. વિપક્ષે પહેલાથી જ સંકેત આપી દીધા છે કે તેઓ ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સરકારને ઘેરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ખાસ કરીને પહલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને બિહારમાં મતદારના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પર, વિપક્ષ આક્રમક વલણ અપનાવી શકે છે.  ઇન્ડિયા અલાયન્સે આગ્રહ કર્યો છે કે વડાપ્રધાન મોદીએ આ બાબતે તેમજ પાકિસ્તાન સાથેના અમેરિકન રાષ્ટ્રપતિના યુદ્ધવિરામના દાવાઓ અને બિહાર (SIR) પર જવાબ આપવો જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદમાં આ મુદ્દાઓ પર વડાપ્રધાન પોતે જવાબ આપે તેવી શક્યતા ખૂબ ઓછી છે. જોકે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે પણ ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓની ચર્ચા કરવામાં આવશે, ત્યારે સરકાર યોગ્ય જવાબ આપશે.