પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે

July 29, 2025

પાકિસ્તાન અને ભારત વચ્ચે પહલગામ આતંકવાદી હુમલા બાદ જોરદાર તણાવ જોવા મળ્યો હતો. સ્થિતિ એવી બની ગઈ હતી કે, બંને બાજુથી એકબીજા પર મિસાઇલ છોડવામાં આવી રહી હતી. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જોકે, હવે હાલ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટી પહેલ કરી છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતમાં રાહુલ ગાંધી એ 22 બાળકોને દત્તક લેવા જઈ રહ્યા છે, જેણે પાકિસ્તાન ગોળીબારમાં પોતાના માતા-પિતા ગુમાવ્યા હતા. 

આ વિશે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસ ચીફ તારિક હામિદ કર્રાએ કહ્યું કે, 'રાહુલ ગાંધી પૂંછના એ 22 બાળકોના શિક્ષણનો આખો ખર્ચ ઉઠાવશે જેણે પોતાના માતા-પિતા પાક. ગોળીબારમાં ગુમાવી દીધા છે. આ બાળકોના શિક્ષણ માટેનો પહેલો હપ્તો જાહેર કરી દેવાયો છે અને ગ્રેજ્યુએશન સુધી તેમની મદદ યથાવત્ રહેશે.'

મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીએ આ વર્ષે મે મહિનામાં પૂંછની મુલાકાત લીધી હતી, તેમણે ત્યાં પોતાના સ્થાનિક નેતાઓને અપીલ કરી હતી કે, તે પ્રભાવિત બાળકોની એક યાદી તૈયાર કરે. ત્યારબાદ કાર્યકરો દ્વારા સરકારી રૅકોર્ડ ખંગાળવામાં આવ્યા અને બાદમાં સરવે કરી એક યાદી તૈયાર કરવામાં આવી, જે રાહુલ ગાંધીને આપવામાં આવી હતી.

રાહુલ ગાંધી જ્યારે પૂંછ ગયા હતા, ત્યાં તેમણે ક્રાઇસ્ટ પબ્લિક સ્કૂલની મુલાકાત લીધી હતી, ત્યાં 12 વર્ષના ટ્વિન ઉર્બા ફાતિમા અને જૈન અલનું પાક. ગોળીબારમાં મૃત્યુ થયું હતું. ત્યાં પહોંચીને રાહુલ ગાંધીએ બાળકોને કહ્યું હતું કે, તમે પોતાના મિત્રોને ખૂબ યાદ કરતા હશો, તમને થોડો ડર પણ લાગતો હશે, પરંતુ ચિંતા ન કરો. બધું બરાબર થઈ જશે. આ સ્થિતિનો સામનો કરવાનો એક જ રસ્તો છે. હજુ વધારે અભ્યાસ કરો.'