સદગુરુને કેનેડા-ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 'ગ્લોબલ ઈન્ડિયન ઓફ ધ યર' એવોર્ડ એનાયત

May 27, 2025

ભારતના પ્રખ્યાત યોગી, દિવ્યદર્શી અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુને કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન (CIF) દ્વારા માનવ ચેતનાને ઉપર ઉઠાવવા અને કોન્શિયસ પ્લેનેટ મૂવમેન્ટ દ્વારા પર્યાવરણીય પ્રયાસોને આગળ વધારવા માટેના તેમના અસાધારણ યોગદાન બદલ ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન ભારતીય મૂળના એવા વ્યક્તિઓને સન્માનિત કરે છે જેમણે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર અસર પાડી છે.

ઓક્ટોબર 2024માં જાહેર કરાયેલા આ એવોર્ડ 22 મે,2025ના રોજ ટોરોન્ટોમાં CIF ચેર રિતેશ મલિક અને નેશનલ કન્વીનર સુનીતા વ્યાસ દ્વારા ઈન્ડો-કેનેડિયન આગેવાનો, ઉદ્યોગપતિઓ અને સમુદાયના સભ્યોની હાજરીમાં પ્રદાન કરવામાં આવ્યો છે. એવોર્ડની સાથે 50,000 કેનેડિયન ડોલરનું ઈનામ પણ સદ્ગુરુને આપવામાં આવ્યું, જે તેમણે કાવેરી કોલિંગને સમર્પિત કર્યું - જે કાવેરી નદીને પુનર્જીવિત કરીને 8 કરોડ 40 લાખ લોકોના જીવનને બદલવાની પહેલ છે.

આ પ્રસંગે બોલતા, CIF ચેર રિતેશ મલિકે કહ્યું, "સદગુરુ માટીના વિનાશ, ક્લાયમેટ ચેન્જ અને ખોરાકની ગુણવત્તા જેવા વૈશ્વિક પડકારો માટે વ્યવહારુ અને લાંબા ગાળાના ઉકેલો પ્રદાન કરે છે. કેનેડા સદગુરુ જેવા વિચારકોથી ઘણો લાભ મેળવી શકે છે, જેમની શિક્ષા વ્યક્તિગત સુખાકારી, ટકાઉપણું અને સમાવેશિતા પર કેનેડાના પોતાના ફોકસ સાથે સુસંગત છે. યોગ અને ધ્યાન પર તેમનો ભાર, ખાસ કરીને માનસિક બીમારીઓના મોટા પડકારના સમયે, કેનેડાની જાહેર આરોગ્યની પ્રાથમિકતાઓ સાથે એકદમ બંધબેસે છે."