'શેમ ઓન યુ...' નારાજ ઈઝરાયલીઓની નેતન્યાહૂ સામે નારેબાજી, યુદ્ધથી બંને દેશોની પ્રજા કંટાળી

October 28, 2024

ગાઝામાં હમાસના આતંકીઓ સામે ઈઝરાયલનું યુદ્ધ મધ્ય-પૂર્વમાં વધુ વિસ્તર્યું છે અને હવે ઈરાન પણ ઈઝરાયલના હુમલાની ઝપેટમાં આવી ગયું છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ ઈરાન પર શનિવારે થયેલા હુમલાને સફળ ગણાવ્યા હતા. જોકે, આ અંગે ભાષણ આપતી વખતે નેતન્યાહુ વિરુદ્ધ જ ઈઝરાયલની પ્રજાએ 'શેમ ઓન યુ'નો સૂત્રોચ્ચાર કરતા તેમણે ભાષણ પડતુ મુકવું પડયું હતું. બીજીબાજુ ઈરાનમાં પણ ટોચના ધાર્મિક વડા આયાતોલ્લાહ ખામનેઈ પદ પરથી દૂર થઈ રહ્યા હોવાના અહેવાલો છે. આ માટે તેમની કટ્ટરવાદી વિચારસરણી સામે પ્રજાનો રોષ કારણભૂત હોવાનો દાવો કરાઈ રહ્યો છે. હમાસના આતંકીઓએ ગયા વર્ષે ઈઝરાયલ પર અચાનક હુમલો કરીને 1200 લોકોને મારી નાંખ્યા હતા અને 250 લોકોના અપહરણ કરી ગાઝામાં લઈ ગયા હતા. એક વર્ષ થઈ જવા છતાં ઈઝરાયલ હજુ સુધી તેના બંધક નાગરિકોને હમાસના આતંકીઓ પાસેથી છોડાવી શક્યું નથી. જોકે, ઈરાનના 1 ઑક્ટોબરના હુમલાના જવાબમાં ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાનના ત્રણ સ્થળો પર 100થી વધુ ફાઈટર જેટ્સથી હુમલા કરી મોટું નુકસાન પહોંચાડયું હતું. હમાસના આતંકીઓના ઈઝરાયલ પર હુમલાને એક વર્ષ પૂરું થયું છે ત્યારે આ હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં યોજાયેલી સભાને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સંબોધન કરી રહ્યા હતા. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. તેમણે કહ્યું, ઈરાન પર શનિવારે વહેલી સવારે થયેલા હુમલાએ તેનું લક્ષ્ય પૂરું કર્યું છે. ઈરાનને મોટાપાયે નુકસાન થયું છે. જોકે, આ જ સમયે કેટલાક લોકોએ 'શેમ ઓન યુ'નો સૂત્રોચ્ચાર કર્યો હતો, જેથી નેતન્યાહુએ તેમનું ભાષણ અધવચ્ચે રોકવું પડયું હતું. નેતન્યાહુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરનારા લોકો હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો હતા. આ દેખાવોમાં હમાસના આતંકીઓએ અપહ્યત કરેલા ઈઝરાયલી નાગરિકોના પરિવારજનો પણ જોડાયા હતા. તેઓ હમાસના આતંકી હુમલાને રોકી નહીં શકવા માટે નેતન્યાહુને જવાબદાર માને છે.  હમાસના આતંકીઓએ જેમના અપહરણ કર્યા છે તે લોકોના પરિવારજનો પણ આ દેખાવોમાં જોડાયા હતા. આમ, બંધકોને છોડાવવામાં નિષ્ફળતા બદલ નેતન્યાહુ વિરુદ્ધ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે.