સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી પોલીસે ઉઠાવ્યા,અભિજિત દીપકનો મારપીટ અને કસ્ટડીનો દાવો, CJPએ મોદીના રાજીનામાની માગ કરી

July 18, 2026

દિલ્હીના જંતર-મંતર પર 20 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે મંચ પરથી ઉઠાવીને સફદરજંગ હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે જણાવ્યું કે હાઈકોર્ટના નિર્દેશોના પાલન હેઠળ વાંગચુકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. ડોક્ટરોએ અગાઉ લાંબા ઉપવાસને કારણે તેમના અંગો ધીમે-ધીમે કામ કરવાનું બંધ થવાની ચેતવણી આપી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તૈનાત છે અને ટૂંક સમયમાં મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે. હોસ્પિટલ બહાર રેપિડ એક્શન ફોર્સ પણ ગોઠવવામાં આવી છે. બીજી તરફ, CJPના સ્થાપક અભિજિત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દાવો કર્યો છે કે પોલીસ દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી અને તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સાથે જ CJPએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માગ પણ કરી છે.

પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર તાત્કાલિક ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ અને અર્ધસૈનિક દળોની ભારે તૈનાતી કરવામાં આવી છે તેમજ ચાર સ્તરનું લોખંડી બેરિકેડિંગ ગોઠવાયું છે. પોલીસ પ્રદર્શનકારીઓને સમજાવીને ધરણા સ્થળ ખાલી કરાવવાની કાર્યવાહી કરી રહી છે.

સોનમ વાંગચુક NEET પેપર લીક મામલે નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ સાથે અનશન પર બેઠા હતા. આ આંદોલનને વિપક્ષનો ટેકો મળ્યો છે. અરવિંદ કેજરીવાલ, ડિમ્પલ યાદવ અને પવન ખેડા તેમની મુલાકાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના કેસી વેણુગોપાલે સરકારને અસંવેદનશીલ ગણાવી વાંગચુકને જીવ જોખમમાં ન મૂકવાની અપીલ કરી હતી, જ્યારે ડિમ્પલ યાદવે ભાજપ સરકાર પર શાંતિપૂર્ણ પ્રદર્શન સહન ન કરી શકવાનો આરોપ મૂક્યો હતો. અભિજિત દીપકે અગાઉ આંદોલન તોડવા માટે કેટલાક ગુંડાઓ દ્વારા હુમલો થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.