સંસદના વિશેષ સત્રની શરૂઆત:લોકસભામાં PM મોદીનું સંબોધન, સ્પીકરે G-20નું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા

September 18, 2023

નવી દિલ્હી  : કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આજે સત્રનો પ્રથમ દિવસ છે. સંસદમાં વિશેષ સત્ર શરૂ થયું છે. સંસદના વિશેષ સત્ર પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના વિશેષ સત્ર પહેલાં સંસદ બહાર મીડિયાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બન્યો. તેમણે કહ્યું કે ચંદ્ર પર આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે. સંસદનું આ સત્ર ઐતિહાસિક નિર્ણયોથી ભરપૂર હશે.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પોતાના સંબોધનમાં કહ્યું, 'G20નું સફળતાપૂર્વક આયોજન કરવા હું પીએમ મોદીનો આભાર માનું છું. 60 શહેરોમાં 200થી વધુ બેઠકો થઈ છે. વિશ્વભરમાંથી 42 પ્રતિનિધિમંડળ આવ્યા, આ G20 અદ્ભુત રહ્યું હતું. G20ની અધ્યક્ષતા ભારતનું સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી અને જનકેન્દ્રિત હતું. G20ના ઘોષણાપત્રને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું. આ ભારતમાં ભારતનું વધતું કદ દર્શાવે છે.

રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ યુપીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ નવા સભ્ય તરીકે શપથ લીધા હતા. લોકસભામાં વિપક્ષના કેટલાક સાંસદો આ દરમિયાન હોબાળો કરતા જોવા મળ્યા હતા, જેના પર સ્પીકર ઓમ બિરલા તેમને સમજાવતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ તમામ સાંસદોને સત્રમાં ભાગ લેવાની અપીલ કરી છે. વિપક્ષ પર નિશાન સાધતા PMએ કહ્યું- તમામ સાંસદો ઉમંગ અને ઉત્સાહના વાતાવરણમાં મળે. ઝઘડવા માટે ઘણો સમય છે. આ સત્રમાં કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવશે. PM નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે લોકસભામાં સંબોધન કરશે.

સત્રના પહેલા દિવસે એટલે કે 18મી સપ્ટેમ્બરે રાજ્યસભામાં 75 વર્ષની સંસદીય યાત્રા, સિદ્ધિઓ, અનુભવો, યાદો પર ચર્ચા થશે.19 સપ્ટેમ્બરથી વિશેષ સત્ર નવા સંસદ ભવનમાં શરૂ થશે.

આ સત્રમાં કયા એજન્ડા પર ચર્ચા થશે તે અંગે વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું- પીએમ હંમેશા કંઈક પરેશાન કરે તેવું લાવી રહ્યા હોય છે. સરકારનું કહેવું છે કે તેમણે એજન્ડાને પહેલાથી જ ક્લિયર કરી દીધો છે.