મોદી 28 ઓક્ટોબરે ગુજરાત આવશે, 4800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે

October 25, 2024

બોટાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ગુજરાત આવી રહ્યાં છે. જેમાં ગુજરાતીઓ દિવાળી પહેલાં વિવિધ વિકાસકાર્યોની ભેટ મળશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લામાં 4800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 
વડાપ્રધાન 705 કરોડના પાણી પુરવઠા વિભાગના  વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ સાથે તેઓ અમરેલીના ગાગડિયો નદી પર 35 કરોડના ખર્ચે બનેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે, 20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ અને કૂવા રિચાર્જ સહિતના એક હજાર કામોનું ખાતમુહૂર્ત અને 590 કામોનું લોકાર્પણ કરશે. આ સિવાય 2800 કરોડ રૂપિયાથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમજ 1094 કરોડના ખર્ચે રેલ વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. 


NHAIના લોકાર્પણના 4 વિકાસકાર્યોમાં 768 કરોડના ખર્ચે NH 151Aના ધ્રોળ-ભાદરા-પાટિયા સેક્શન અને ભાદરા પાટિયા–પિપળિયા સેક્શનનું ચારમાર્ગીયકરણ, 1025 કરોડના ખર્ચે NH 151Aના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન- 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શનનું ચારમાર્ગીયકરણ, 136 કરોડના ખર્ચે NH 51ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી)નું ચારમાર્ગીયકરણ અને 256 કરોડના ખર્ચે NH 151ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણ પર જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ 626 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. 
705 કરોડના વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહૂર્તનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  જેના કારણે બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે.