મહારાષ્ટ્રમાં અમરાવતીના નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો, 10 પોલીસકર્મી ઘાયલ

October 05, 2024

મહારાષ્ટ્રના અમરાવતીમાં ભારે હંગામો થયો છે. વિરોધ કરી રહેલા લઘુમતી સમુદાયના લોકોએ નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન પર ભારે પથ્થરમારો કર્યો હતો. જેના કારણે અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પથ્થરમારામાં પોલીસના અનેક વાહનો અને બાઇકને નુકસાન થયું છે.

ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ ઉપરાંત પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા હતા. સ્થળ પરના તણાવને જોતા પોલીસ કમિશનરે નાગપુરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસની કલમ 163 હેઠળ ભેગા થવા પર પ્રતિબંધનો આદેશ જારી કર્યો હતો.

મળતી માહિતી મુજબ યુપીના મહંત યતિ નરસિમ્હાનંદ મહારાજ દ્વારા મુસ્લિમ ધર્મગુરુ વિરુદ્ધ આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ અમરાવતીમાં તણાવ વધી ગયો છે . શનિવારે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા લઘુમતી સમુદાયના લોકોએ નાગપુરી ગેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને કાર્યવાહીની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું.

કેટલાક બદમાશોએ પોલીસ સ્ટેશન અને ત્યાં હાજર પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો ત્યારે સ્થિતિ વણસી ગઈ. આ ઘટનામાં 8 થી 10 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસના ચારથી પાંચ મોટા વાહનો અને 10થી 15 મોટરસાઈકલની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે.