પન્નુ કેસમાં ભારત સરકાર અને અજીત ડોભાલ વિરુદ્ધ સમન્સ, US કોર્ટના નિર્ણયથી ભડક્યું વિદેશ મંત્રાલય

September 20, 2024

ખાલિસ્તાની ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના આરોપમાં અમેરિકાની કોર્ટે ભારત સરકાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિરુદ્ધ સમન્સ જારી કર્યું છે. કોર્ટના આ નિર્ણયથી ભારત સરકાર નારાજ થયું છે અને વિદેશ મંત્રાલયે કડક શબ્દોમાં નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, અમેરિકાની કોર્ટનો નિર્ણય તદ્દન ખોટો છે અને અમે તેના વિરુદ્ધ વાંધો વ્યક્ત કરીએ છીએ. ન્યૂયોર્ક સ્થિત દક્ષિણ જિલ્લાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે ભારત સરકાર (Indian Government), રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (National Security Advisor Ajit Doval), રૉના પૂર્વ પ્રમુખ સામંત ગોયલ (Former RAW Chief Samant Goyal), રૉ એજન્ટ વિક્રમ યાદવ (RAW Agent Vikram Yadav) અને બિઝનેસમેન નિખિલ ગુપ્તા (Businessman Nikhil Gupta)ના નામે સમન્સ જારી કર્યું છે. ડિસ્ટ્રીક કોર્ટે તમામ પક્ષોને 21 દિવસમાં જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે.

વિદેશ સચિવે અમેરિકાની કોર્ટના સમન્સ પર કહ્યું કે, ‘આ કેસ પહેલીવાર અમારે ધ્યાને આવ્યો હતો, ત્યારે અમે કાર્યવાહી કરી હતી. અમે આ કેસમાં પહેલેથી જ હાઈલેવલની કમિટીની રચના કરી છે અને તે તપાસ પણ કરી રહી છે. હવે હું તે વ્યક્તિ વિશે કહેવા માંગું છું, જેણે આ કેસ નોંધાવ્યો છે. સૌકોઈ ગુરપતવંત સિંહ પન્નુનો ઈતિહાસ જાણે છે, તે ગેરકાયદેસર સંગઠન સાથે જોડાયેલો છે અને તે તમામ લોકો જાણે છે.’

ગત વર્ષે અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુનું એક્સિડન્ટ થયુ હતું. આ મામલે અમેરિકાએ ગત વર્ષે જૂન મહિનામાં નિખિલ ગુપ્તા નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાનું કાવતરું ઘડવામાં એક ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

કેનેડામાં નિજ્જરની હત્યા બાદ હવે અમેરિકામાં રહેતા ગુરપતવંત સિંહ પન્નુનું નામ વધુ ચર્ચાએ ચઢ્યું છે. ગુરપતવંત સિંહ પન્નુ મૂળ પંજાબના ખાનકોટનો છે. ભારતના મોસ્ટ વોન્ડેટ આતંકવાદીઓની યાદીમાં પન્નુનું પણ નામ સામેલ છે. તેને 2020ના રોજ આતંકવાદી જાહેર કરાયો હતો. પન્નુ વિરુદ્ધ પંજાબમાં 22 જેટલા ગુનાહિત કેસ નોંધાયેલા છે. જેમાં 3 રાજદ્રોહના કેસનો પણ સામેલ છે. હાલ પન્નુ અમેરિકાનો નાગરિક છે અને ત્યાંથી તે સતત વીડિયો જાહેર કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. વિદેશમાં રહીને પણ તે ખાલિસ્તાની પ્રવત્તિઓ ચાલુ રાખે છે. આ અગાઉ ભારત સરકારે પન્નુની ભારત સ્થિતિ તમામ મિલકતો જપ્ત કરી હતી.

અમેરિકી ન્યાય વિભાગની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે 52 વર્ષીય નિખિલ ગુપ્તા એક ભારતીય નાગરિક છે. અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. એક કથિત ભારતીય સરકારી કર્મચારી જેનું નામ દસ્તાવેજમાં નથી પરંતુ તેને CC-1 તરીકે સંબોધિત કરાયો છે. એવું કહેવાય છે કે CC-1 નિખિલ ગુપ્તા સહિત અન્ય લોકો સાથે ભારતમાં અને અન્ય સ્થળોએ અમેરિકાની ધરતી પર વકીલ અને રાજકીય કાર્યકરની હત્યાનું કાવતરું ઘડવાનું કામ કરી રહ્યો હતો. દસ્તાવેજમાં CC-1ને સુરક્ષા અને ગુપ્તચર વિભાગ સાથે સંકળાયેલી વ્યક્તિ હોવાનું વર્ણવવામાં આવ્યું છે.