બંગલાદેશથી ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલા લશ્કર-એ-તય્યબાના આંતકીની દિલ્હીમાં ધરપકડ

April 01, 2026

દિલ્હી બોર્ડર નજીકથી લશ્કર-એ-તૈયબાના ખતરનાક આતંકી શબ્બીર અહમદ લોન ઉર્ફે 'રાજા કાશ્મીરી'ની ધરપકડ કરવામાં આવી છે. મૂળ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરનો રહેવાસી શબ્બીર બાંગ્લાદેશમાં બેસીને ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓનું ષડયંત્ર રચી રહ્યો હતો. ગુપ્તચર એજન્સીઓ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ મોટી સફળતા હાથ લાગી છે.

પૂછપરછમાં સામે આવ્યું છે કે તે પાકિસ્તાનની એજન્સી ISI ના સીધા ઈશારે કામ કરતો હતો. ભારતમાં પોતાનું નેટવર્ક ફેલાવવા માટે તેણે એક નવી જ ચાલ ચલાવી હતી. તે ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા બાંગ્લાદેશી નાગરિકોનો સંપર્ક કરી, તેમને લાલચ આપીને પોતાના આતંકી કાવતરાંઓને અંજામ આપવા માટે તૈયાર કરતો હતો.

શબ્બીરનો આતંક સાથેનો નાતો ઘણો જૂનો છે. અગાઉ ૨૦૦૭માં પણ તે AK-47 અને ગ્રેનેડ જેવા હથિયારો સાથે પકડાયો હતો અને ૨૦૧૮ સુધી તિહાર જેલમાં હતો. જામીન પર છૂટ્યા પછી તે બાંગ્લાદેશ ભાગી ગયો અને ત્યાંથી ફરી ભારત વિરુદ્ધ નાપાક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. હાલમાં તપાસ એજન્સીઓ તેના અન્ય સાગરીતો અને આગામી ટાર્ગેટ વિશે માહિતી મેળવવા તેની સઘન પૂછપરછ કરી રહી છે.