UNમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી ઉજવાઈ

December 11, 2022

સંયુક્ત રાષ્ટ્રમાં ઉપસ્થિત લોકો સુધી સ્વામીજીના જીવન પર આધારિત સંદેશો પહોંચાડાયો
સમારોહમાં ગાંધીનગર સ્થિત BAPSના સંત આનંદ સ્વરૂપજીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કર્યું
દિલ્હી- BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા સ્વામીજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી તેમજ દેશમાં ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું સંયુક્ત રીતે અમેરિકાના ન્યુયોર્ક સ્થિત યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત લોકો સુધી સ્વામીજીના જીવન પર આધારિત સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. ‘ધ વર્લ્ડ ઈઝ વન ફેમિલી’ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોઝ, અન્ય દેશોના રાજદુતો, પ્રતિનિધિઓ અને BAPSના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણી પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સહસ્ત્રાબ્દી શિખર સંમેલનમાં પ્રમુખ સ્વામી મહારાજે 29 ઓગસ્ટ-2000ના રોજ કરેલા ભાષણનો એક વીડિયો પણ બતાવાયો હતો, જેમાં તેમણે વિશ્વભરના આધ્યાત્મિક વડાઓને અપીલ કરી હતી કે, તેઓ સમૃદ્ધ વિવિધતાને જાળવવા માટે એક-બીજા સાથે સાર્થક સંવાદ કરે.
UNમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાતના ગાંધીનગર સ્થિત બીએપીએસના સંત આનંદ સ્વરૂપજીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે પોતાના સંબોધનમાં પ્રમુખ સ્વામીજી મહારાજની શતાબ્દી જન્મશતાબ્દીના આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સન્માન વ્યક્ત કર્યું હતું.