આતંકવાદીઓની મદદ કરનાર સ્થાનિકોએ ખોલ્યા રહસ્યો, NIA મળ્યા આ 4 પુરાવા

June 24, 2025

જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ધર્મ પૂછીને નિર્દોષ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. હુમલા બાદ આતંકવાદીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. તેમને બે સ્થાનિક લોકોએ આશ્રય આપ્યો હતો. જેમની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે.

NIA જણાવ્યું કે, પહલગામ હુમલા સબંધિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેઓએ તેમાં સામેલ 3 આતંકવાદીઓની ઓળખ અંગે વિગતો જાહેર કરી છે. એજન્સીએ આતંકવાદીઓની ઓળખ અંગે પૂરતા પુરાવા એકત્રિત કર્યા છે. જેમાં પીડિતોના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો, વીડિયો ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા સ્કેચનો સમાવેશ થાય છે. આ બધા પુરાવાઓનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

NIAએ ખાતરી આપી છે કે તપાસ વ્યાવસાયિક રીતે હાથ ધરવામાં આવી રહી છે અને આતંકવાદી હુમલાના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આંતકવાદીઓની ઓળખ અને અન્ય વિગતો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. સૂત્રો અનુસાર, લશ્કર સાથે જોડાયેલા 3 પાકિસ્તાની આતંકવાદીઓને આરોપી પરવેઝ અહેમદ જોથર અને બશીર અહેમદ જોથર દ્વારા 20 અને 21 એપ્રિલના રોજ સીજનલ 'ઢોક' ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.