'હુમલાનો કોઈ ઇરાદો નથી, પરંતુ ઇઝરાયલ અટકશે નહીં તો છોડીશું નહીં'- ઈરાન

June 27, 2025

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકાના હુમલામાં ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર ગંભીર અને મોટુ નુકસાન થયું હોવાનો અંતે સ્વીકાર કર્યો છે. વધુમાં ઈરાને આગામી સપ્તાહે ટ્રમ્પ સાથે પરમાણુ કરાર પર વાતચીતના દાવાને પણ ફગાવ્યો છે. 
અરાઘચીએ સ્થાનિક મીડિયા હાઉસ સમક્ષ સ્વીકાર્યું હતું કે, અમેરિકાના હુમલાના કારણે દેશના ન્યુક્લિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યંત ગંભીર નુકસાન થયું છે. અમેરિકાએ બંકર બસ્ટિંગ બોમ્બ સાથે યુએસ-બી-2 બોમ્બર્સ દ્વારા ફોર્ડો, નાતાંજ, અને ઈસ્ફહાન પરમાણુ મથકો પર હુમલો કર્યો હતો. 
ઈરાનના વિદેશ મંત્રીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ખોટું ઠેરવ્યું છે. ટ્રમ્પે નિવેદન આપ્યું હતું કે, આગામી સપ્તાહે વોશિંગ્ટનમાં ઈરાન સાથે બેઠક કરવાની યોજના છે. જેમાં તેઓ પરમાણુ કરાર, પ્રતિબંધો દૂર કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. જો કે, અરાઘચીએ આ દાવાને ખોટો ઠેરવતાં કહ્યું હતું કે, અમે આગામી સપ્તાહે અમેરિકા સાથે કોઈ બેઠક કરવાના નથી. આવી કોઈ યોજના નક્કી થઈ નથી.


અરાઘચીએ આગળ કહ્યું કે, સીઝફાયરનું પાલન કરવા માટે બંને પક્ષોની સહમતિ હોવી જરૂરી છે. અમારી હુમલો કરવાની કોઈ યોજના કે ઇચ્છા નથી. પરંતુ જો ઇઝરાયલે હુમલો કર્યો તો અમે વળતો જવાબ અવશ્ય આપીશું. ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ બાદ અમેરિકાની ટ્રમ્પ સરકારે ઈરાન સાથે એક નવો કરાર કરવાની યોજના બનાવી છે. જેમાં ઈરાનને 30 અબજ ડૉલર (રૂ. 2.57 લાખ કરોડ) સુધીની સહાયતા, પ્રતિબંધોમાં રાહત અને ફ્રીઝ કરેલા અબજો ડૉલરની રકમ મુક્ત કરવાની રજૂઆત સામેલ છે. અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમનો વિરોધ કરતાં તેના ત્રણ પરમાણુ મથક પર હુમલો કર્યો હતો.