આજે શનિજયંતી અને સોમવતી અમાસ:મેષ સહિત ત્રણ રાશિના જાતકો પર સાડાસાતીનો પ્રભાવ, વિશેષ પૂજા કરવી

May 26, 2025

આજે શનિજયંતી અને સોમવતી અમાસ:મેષ સહિત ત્રણ રાશિના જાતકો પર સાડાસાતીનો પ્રભાવ, વિશેષ પૂજા કરવી; જાણો મહત્ત્વ અને પૂજાવિધિ
હિંદુ કેલેન્ડર મુજબ, શનિ જયંતીનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન અને માતા છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો. શનિને કર્મ આપનાર અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. આ કારણે દરેક વ્યક્તિએ ક્યારેય પણ પોતાના જીવનમાં શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈયા કે કોઈ ખામીનો સામનો કરવો પડતો નથી.


વૈશાખ મહિનાની અમાસ તિથિ પર શનિદેવની યોગ્ય રીતે પૂજા કરવાથી તેમની શુભ નજર તમારા પર પડે છે. તમારું જીવન સુખી બને છે. પરંતુ આજ દિવસે તમે પૂજા-પાઠમાં કે વર્તનમાં તમે 7 પ્રકારની ભૂલો કરો છો તો શનિદેવ તમારું જીવન ડામાડોળ કરી શકે છે. જીવનમાં સફળતા, પ્રગતિ. ધન-સંપત્તિ, સુખ-શાંતિથી વંચિત રહી શકો છો. અહીં જાણો એ ભૂલો વિશે અને શનિજયંતીની ચોક્કસ તારીખ, સમય, પૂજા પદ્ધતિ અને મહત્ત્વ.

શનિજયંતીનું મહત્ત્વ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, અમાસની તિથીના દેવતા પિતૃ હોવાથી તમામ પિતૃગણની પૂજા કરી શકાય છે. તેમાં પણ સોમવાર કે બુધવાર આવતી અમાસનું વિશેષ મહત્વ રહેલ છે. શનિજયંતીના દિવસે ભગવાન શનિની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાની પરંપરા છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય અથવા શનિની સ્થિતિ નબળી હોય તો શનિજયંતીના દિવસે વ્રત રાખવું જોઈએ.

શનિદેવની પૂજા કેવી રીતે કરવી
શનિજયંતીના દિવસે વહેલા ઊઠીને સ્નાન કરી લેવું. ત્યારબાદ વાદળી વસ્ત્રો પહેરીને શનિ મંદિરે જવું. તમારી સાથે સરસવના તેલ સિવાય શમીના પાન, અપરાજિતાના વાદળી ફૂલ વગેરે શનિદેવને અર્પણ કરવા માટે રાખો. આ પછી, વિધિવત આરતી કરો. ધ્યાન રાખો કે પૂજા-પાઠ, આરતી કરતી વખથે શનિદેવની આંખોમાં ન જોવું.

આ દિવસે શનિદેવની પૂજામાં કાળું કપડું, સરસિયાનું તેલ, કાળા તલ, કાળા અડદ, લોખંડની વીંટી, વાદળી કે જાંબલી રંગના પુષ્પ, 27 લવિંગની પડીકી, દેશી ચણા અને અડદના બનાવેલાં વડા શનિ દેવને અર્પણ કરવાથી ન્યાય દેવતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને લાંબા સમયથી ચાલતી સમસ્યામાં કંઈક નીવેડો લાવે છે. તેમજ અસાધ્ય રોગોમાં કંઈક રાહતનો અહેસાસ કે મુક્તિ માટે શનિદેવના મંત્રની સાત માળા કરવી. "ૐ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનૈશ્ચરાય નમ:।।'


અનેક પૌરાણિક પાત્રોએ શનિકષ્ટો ભોગવ્યા છેઃ-
ધર્મશાસ્ત્રોમાં પણ અનેક એવા કિસ્સા છે જેમાં શનિના ક્રોધના કારણે વ્યક્તિને અનેક જન્મો સુધી દુઃખો ભોગવ્યા હોય. માતા સતિ, સૂર્યદેવ, રાવણ, રાજા હરિશ્ચંદ્ર. રાજા વિક્રમાદિત્ય, પાંડવો, દ્રોપદી, રાજા દશરથ તેમાં સૌથી મોટા ઉદાહરણો છે. જેમાં રાજા દશરથે શનિ કષ્ટોથી મુક્તિ મેળવવા 'દશરથકૃત શનિ સ્તોત્ર' પાઠની રચના કરી હતી. શનિની સંપૂર્ણ મહિમાનું વર્ણન શનિ ચાલીસામાં સમાવવામાં આવ્યું છે.