સંભલ જામા મસ્જિદ બબાલ બાદ હિંસા ફાટી, પશ્ચિમ યુપીમાં હાઈએલર્ટ, ઈન્ટરનેટ-સ્કૂલ બંધ, અનેક પોલીસકર્મીઓ ઘાયલ

November 25, 2024

ઉત્તરપ્રદેશના સંભલમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. જામા મસ્જિદના સરવેને લઈને અહીં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે. સ્થિતિને જોતા સમગ્ર પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સંભલમાં ઈન્ટરનેટ હજુ પણ બંધ છે.

સવારે લગભગ પોણા નવ વાગ્યાની આસપાસ, ઉગ્રવાદીઓએ પહેલા જામા મસ્જિદની બહાર અને પછી નખાસા વિસ્તારમાં પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. તેઓએ બંને સ્થળોએ ઓછામાં ઓછા એક ડઝન વાહનોને સળગાવી દીધા હતા.

આ દરમિયાન એસપીના પીઆરઓ, સીઓ અને કોતવાલ સહિત એક ડઝન પોલીસકર્મી ઘાયલ થયા હતા. બીજી તરફ વારંવાર સમજાવવા છતાં પણ ટોળું શાંત ન થતાં પોલીસે વળતો જવાબ આપતા પહેલા ટીયર ગેસના શેલ છોડ્યા અને પછી લાઠીચાર્જ કર્યો. લગભગ અઢી કલાક સુધી ચાલેલી હિંસા દરમિયાન ભીડમાંના ત્રણ લોકોના મોત થયા હતા.

અન્ય એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.  કમિશનર અંજનેય કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે વધુ એક ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર છે. પોલીસે બે મહિલાઓ સહિત 21 લોકોની અટકાયત કરી છે.