મણિપુરમાં ફરી હિંસા ભડકી: રોકેટ હુમલામાં બે બાળકોના મોત, પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

April 07, 2026

મણિપુર : મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં આજે (7 એપ્રિલ) એક અત્યંત દુખદ અને આઘાતજનક ઘટના બની હતી. શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ અને રોકેટ હુમલામાં બે નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલો મોઇરાંગ ટ્રોન્ગલાઓબી વિસ્તારમાં મધ્યરાત્રિએ આશરે એક વાગ્યાની આસપાસ થયો હતો, જ્યારે એક જીવંત બોમ્બ સીધો એક રહેણાંક મકાન પર આવીને પડ્યો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરમાં સૂઈ રહેલા પાંચ વર્ષના બાળક અને માત્ર છ મહિનાની બાળકીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે તેમની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું અને નજીકના પેટ્રોલ પંપ પાસે ઉભેલા બે ઓઇલ ટેન્કર અને એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. દેખાવકારોએ મોઇરાંગ પોલીસ સ્ટેશન સામે ટાયરો સળગાવીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને એક અસ્થાયી પોલીસ ચોકીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ભીડને કાબૂમાં લેવા અને પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે.