મોબાઇલમાં ‘સંચાર સાથી’ પ્રિ-ઇન્સ્ટોલ કરાવવા પાછળ સરકારના શું ઇરાદા છે? વિપક્ષે ‘પેગાસસ’ ગણાવ્યું

December 02, 2025

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સોમવારે દરેક મોબાઇલ કંપનીને એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. ભારતમાં આયાત કરવામાં આવતાં કે ઉત્પાદન કરવામાં આવતાં દરેક મોબાઇલમાં હવે ભારત સરકારની સંચાર સાથી એપ્લિકેશન હોવી ફરજિયાત છે. પહેલી વાર મોબાઇલ ચાલુ કરતી વખતે અથવા તો સેટઅપ કરતી વખતે આ એપ્લિકેશન યુઝરને દેખાવી જોઈએ. આ એપ્લિકેશનને કોઈ પણ રીતે કાઢી નહીં શકાય અને એની કાર્યક્ષમતા પર પણ કોઈ રોક નહીં લગાવી શકાય. સંચાર સાથી એપ્લિકેશન અને પોર્ટલને 2023ની મેમાં શરૂ કરવામાં આવ્યું હતું.
સંચાર સાથી એપ્લિકેશનનું કામ શું છે?
    • યુઝર પોતાના નામ પર કેટલા મોબાઇલ નંબર એક્ટિવેટ છે એ જાણી શકશે.
    • મોબાઇલ ચોરી થઈ ગયો હોય તો એની રિપોર્ટ કરવાની સાથે એને બ્લોક પણ કરી શકશે.
    • છેતરપિંડી કરનારી વેબસાઇટ લિંકને રિપોર્ટ કરી શકાશે.
    • બેંક અને અન્ય સર્વિસ સેન્ટરના નંબરને ચેક કરી શકાશે.
    • સ્પેમ અને છેતરપિંડી વિશે સરળતાથી રિપોર્ટ કરી શકાશે.
    • મોબાઇલ ઓરિજિનલ છે કે પછી ડુપ્લિકેટ એ ચેક કરી શકાશે.
    • ભારતીય નંબર ડિસ્પ્લે પર દેખાઈ પરંતુ ઇન્ટરનેશનલ કોલ હોય તો એને રિપોર્ટ કરી શકાશે.
આ તમામ સુવિધાનો ઉપયોગ કરવા માટે હાલમાં વેબસાઇટ પર જવું પડી રહ્યું છે. જોકે એકવાર એપ્લિકેશન મોબાઇલમાં આવી જવાથી યુઝર એના પરથી તરત જ રિપોર્ટ કરી શકશે. આથી યુઝરને સરળતા રહેશે અને તેમણે પોતાના મોબાઇલને IMEI નંબર પણ યાદ રાખવો નહીં પડે.

સંચાર સાથી વેબસાઇટ સાથે જોડાયેલા કેટલાક આંકડા
    • 42.14 લાખથી વધુ મોબાઇલ નંબરને બ્લોક કરવામાં આવ્યાં છે.
    • 26.11 લાખથી વધુ મોબાઇલ જે ખોવાયા હોય અથવા તો ચોરી થયા હોય એને ટ્રેસ કરવામાં આવ્યાં છે.
    • 288 લાખથી વધુ લોકો એ તેમના નામ પર નંબર રજિસ્ટર્ડ હોય તો એની જાણકારી માગી છે. એમાંથી 254 લાખથી વધુ લોકોની સમસ્યાનું નિરાકરણ પણ કરવામાં આવ્યું છે.
    • એપ્લિકેશનના 1.14 કરોડથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે.
    • ગૂગલ પ્લે સ્ટોરથી એક કરોડથી વધુ લોકોએ અને એપ સ્ટોર પરથી 9.5 લાખથી વધુ લોકોએ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી છે.

સોફ્ટવેર અપડેટ દ્વારા આપવામાં આવશે એપ્લિકેશન  
અત્યાર જે મોબાઇલ બની રહ્યાં છે એમાં એપ્લિકેશન હોવી ફરજિયાત છે. જોકે જે મોબાઇલ વેંચાયા નથી અને માર્કેટમાં પહેલેથી આવી ગયા છે એના માટે સરકારે આદેશ આપ્યો છે કે એવા મોબાઇલમાં સોફ્ટવેર અપડેટ દ્વારા એપ્લિકેશન આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા આ પગલું દેશના લોકોને ખોટા મોબાઇલ ખરીદવાથી બચાવવા માટે તેમ જ છેતરપિંડીને અટકાવવા માટે ભરવામાં આવ્યું છે. આ દ્વારા યુઝર છેતરપિંડી વિશે ખૂબ જ સરળતાથી રિપોર્ટ કરી દેશે. એપલ, સેમસંગ, શાઓમી, ઓપ્પો, વિવો અને અન્ય મોબાઇલ કંપનીઓને આ નિયમનું પાલન કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ માટે તેમણે 120 દિવસની અંદર રિપોર્ટ જમા કરાવવાની રહેશે.