અમેરિકાએ કાઢી મૂકેલા 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયો આજે વતન પરત ફરશે

February 05, 2025

અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા દુનિયાભરના લોકોને વતન પરત કરવામાં આવશે એવી ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં વાત કરી હતી. આ પછી તેમણે સત્તા ઉપર આવ્યા બાદ અમેરિકામાં દરોડા પડાવી સેંકડો ઘુસણખોરોને પકડવા શરૂ કરી વતન પરત કરવા કવાયત હાથ ધરી છે. આ કવાયતના ભાગરૂપે 205 ભારતીય ઘુસણખોરોને લઇ એક મીલીટરી વિમાન ટેક્સાસથી ભારત આવવા રવાના થયું છે. સૂત્રોએ જણાવ્યું હતું આ એરક્રાફ્ટ અમૃતસર એરપોર્ટ ઉપર ઉતરાણ હાથ ધરશે. પંજાબ પોલીસને ઉતરાણ બાદ ઘુસણખોરી કરનાર તમામની પૂછપરછ કરવા માટે, એમાંથી કોઈ વ્યક્તિ વોન્ટેડ હોય તેની સામે કેસ નોંધાયેલા હોય તો તેને કસ્ટડીમાં લેવાની સૂચના આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે 205 ભારતીયોમાં 33 તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવી રહ્યા છે. આજે બપોરે આ લોકો અમૃતસર આવી પહોંચશે. અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે. 

અમેરિકન મીલીટરીનું સી-17 એરક્રાફ્ટ આ ભારતીયોને લઇ સેન એન્ટોનિયો, ટેક્સાસ ખાતેથી ભારતીય સમય અનુસાર પરોઢિયે ત્રણ કલાકે રવાના થયું છે અને લગભગ ૨૪ કલાકે ભારત પહોચે એવી ધારણા છે. આ વિમાનમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર મોટાભાગના પંજાબ કે ઉત્તર ભારતના હોય તેવી શક્યતા છે. જોકે, તેમાં ગુજરાતી હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં. રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર પોલીસ, ફેડરલ એજન્સીની મદદથી પકડી પાડવામાં આવેલા ગેરકાયદે વસવાટ કરતા લોકોને ગ્વાતેમાળા, પેરુ, હોન્ડુરસ રવાના કરવામાં આવ્યા છે. અત્યારસુધીના ઓપરેશનમાં સૌથી પહેલી વખત ભારત જેટલા દૂરના દેશોમાં ઘુસણખોરોને પરત મોકલી આપવામાં આવી રહ્યા છે.