બાંગ્લાદેશમાં અરાજકતા વચ્ચે આંતરિક સુરક્ષા મજબૂત કરવા બંગાળના 7 નેશનલ હાઇવે પર હવે કેન્દ્રનો કંટ્રોલ રહેશે

May 18, 2026

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ સરકારે નેશનલ હાઈવેના 7 હિસ્સાઓને કેન્દ્ર સરકારના નિયંત્રણમાં સોંપવાનો નિર્ણય કર્યો છે. આનાથી નેશનલ હાઈવે ઓથોરિટી અને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ માટે બંગાળમાં મહત્વના રોડ કોરિડોર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો રસ્તો હવે ખુલી ગયો છે. આ કામ લાંબા સમયથી રાજકીય કારણોસર અટકેલું હતું.

આ અંગે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ આ વિસ્તારો સ્ટેટ પીડબલ્યુડીની નેશનલ હાઈવે વિંગ હેઠળ આવતા હતા. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી તેને સોંપવા માટે વારંવાર વિનંતીઓ કરવામાં આવી હતી, તેમ છતાં તે આશરે 1 વર્ષથી પેન્ડિંગ હતા.

બંગાળની ભાજપ સરકારે જે 7 નેશનલ હાઈવે કોરિડોર કેન્દ્ર સરકારને સોંપવાનો નિર્ણય કર્યો છે, તેમાંથી 5 ચિકન નેક કોરિડોર અથવા સિલીગુડી કોરિડોર પરથી પસાર થાય છે. કેન્દ્ર સરકારનું આ કોરિડોર પર ધ્યાન ત્યારથી વધી ગયું હતું, જ્યારથી બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઇસ્લામી શક્તિઓએ અરાજકતાની સ્થિતિ વચ્ચે સત્તા પરિવર્તન કર્યા બાદ આ કોરિડોરને લઈને કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા.

સુરક્ષા નિષ્ણાતો સતત સિલીગુડી કોરિડોરના રસ્તાઓને પહોળા કરવા અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત કરવા પર ભાર મૂકતા રહ્યા છે. બાંગ્લાદેશમાં કટ્ટરપંથી શક્તિઓનો પ્રભાવ વધ્યા પછી આ ભારતની આંતરિક સુરક્ષા માટે એક ગંભીર પડકાર બનીને ઊભું થયું છે. ભારત, ભૂતાન અને ચીનના ટ્રાયેન્ગલ પર જે રીતે 2017માં ડોકલામમાં ચીન સાથે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો, તે પહેલેથી જ ચિંતાનું કારણ બનેલું છે. એટલું જ નહીં, સિક્કિમમાં પહાડી રસ્તાઓ પર દર વર્ષે થતા ભૂસ્ખલને પણ આની જરૂરિયાત વધારી દીધી છે.

ચિકન નેક કૉરોડોર શું છે?

કેન્દ્ર સરકારને બંગાળ સરકાર તરફથી સોંપવામાં આવી રહેલા નેશનલ હાઈવેના (NH) સાતમાંથી પાંચ હિસ્સા સિલીગુડી કોરિડોર અથવા 'ચિકન નેક કોરિડોર' પરથી પસાર થઈ રહ્યા છે. આ કુલ 60 કિલોમીટર લાંબો વિસ્તાર છે, જે તેના સૌથી સાંકડા ભાગ પર માત્ર 20 થી 22 કિલોમીટર જેટલો જ પહોળો છે અને આ જ વિસ્તાર 'ચિકન નેક કોરિડોર' ના નામે કુખ્યાત છે.