ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના, ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકતા 8 શ્રદ્ધાળુના મોત

June 15, 2024

ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે. ઘટનાની જાણ પોલીસને થતા જ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરવમાં આવી રહી છે. ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અહેવાલો અનુસાર, બદ્રીનાથ હાઈવે પર રેંટોલી નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. શ્રદ્ધાળુઓને લઈને જતા ટેમ્પો ટ્રાવેલરના ચાલકે અચાનક કાબૂ ગુમાતા તે અલકનંદા નદીમાં ખાબકી હતી. આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો મદદ માટે બૂમો પાડવા લાગ્યા. જે બાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ ટ્રાવેલરમાં લગભગ 17 મુસાફરો હતા, ઘટનાની માહિતી મળતાની સાથે જ રેસ્ક્યૂ ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. નદીના જોરદાર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

એસપી ડો. વિશાખા અશોક ભદાણે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. એમઆરએફ અને એનડીઆરપીની ટીમ બચાવ કામગીરીમાં લાગેલી છે. 

ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે 'X'પર લખ્યું - 'રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.'