કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી, શ્રીનગર-અનંતનાગ-કુલગામમાં દરોડા

March 18, 2023

જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી (SIA) એ આજે ​​(18 માર્ચ) સવારે આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી હતી. એજન્સી અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. SIAની ટીમ અનંતનાગ, કુલગામ, શોપિયાં અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

SIAના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે તપાસ એજન્સીએ સ્થાનિક પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની મદદથી અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આ દરોડો પહેલાથી નોંધાયેલા કેસમાં કરવામાં આવી રહ્યો છે.

એજન્સીઓએ શ્રીનગરમાં મોહમ્મદ હનીફ ભટના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓની બીજી ટીમે ગુલામ અહેમદ લોનના પુત્ર અબ્દુલ હમીદ લોનના ઘરે દરોડા પાડ્યા હતા. અન્ય એક ટીમ શોપિયાંના રેબન ઝૈનપોરામાં સરજન બરકાતીના પુત્ર અબ્દુલ રઝીક વાગેના ઘરે પહોંચી અને તલાશી લીધી. સર્જન બરકાતીના ભાઈ મોહમ્મદ શફીના ઘરની પણ તલાસી લેવામાં આવી હતી. કુલગામમાં એજન્સીએ કટપોરા યારીપોરામાં એક ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અનંતનાગમાં પણ કેટલાક ઘરોમાં દરોડા ચાલુ છે.