મુંબઈમાં ભારે વરસાદના કારણે ઈન્ડિગો, એર ઈન્ડિયા, સ્પાઈસ જેટની ફ્લાઈટ કેન્સલ, એરપોર્ટ પર ફસાયા મુસાફરો

July 25, 2024

મુંબઈ : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે સાથે જ મુંબઈ એરપોર્ટ પર ઘણી ફ્લાઈટ પર વરસાદની અસર જોવા મળી રહી છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર સેંકડો મુસાફર પરેશાન છે. મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી સતત અને ભારે વરસાદના કારણે છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર ફ્લાઈટ સંચાલન ગંભીરરીતે ખોરવાઈ ગયું છે જેના કારણે મુખ્ય એરલાઈનોએ મુસાફર માટે એડવાઈઝરી જાહેર કરવી પડી છે.

ઈન્ડિગોએ કહ્યું કે સતત વરસાદના કારણે તેમની ફ્લાઈટમાં સમયાંતરે મોડું થઈ રહ્યું છે. ઓછી કિંમતવાળી એરલાઈન્સે કહ્યું કે તે મુસાફરને વાસ્તવિક સમય પર અપડેટ આપવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તમામને એરપોર્ટ પર ગયા પહેલા પોતાની ફ્લાઈટની સ્થિતિની તપાસ કરવાની સલાહ આપે છે. ઈન્ડિગોએ કહ્યું, 'અમે સરળ સંચાલન નક્કી કરવા માટે સતત કામ કરી રહ્યાં છીએ અને આશા કરીએ છીએ કે હવામાનમાં સુધારો થયા બાદ આ વિલંબ થોડો ઓછો થઈ જશે.' 

આ દરમિયાન એર ઈન્ડિયાએ પણ તેના મુસાફરોને સંભવિત સમસ્યાઓ અંગે ચેતવણી આપી હતી. એર ઈન્ડિયાએ પોતાના મુસાફરોને સલાહ આપતાં કહ્યું કે 'ભારે વરસાદના કારણે મુંબઈથી આવતી-જતી ફ્લાઈટ પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એરપોર્ટ માટે જલ્દી નીકળે, કેમ કે ધીમી ગતિથી મુસાફરી અને પાણી ભરાવાના કારણે અવર-જવરમાં મોડું થઈ શકે છે.'

સ્પાઈસજેટે પણ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરી છે. એરલાઈન્સે કહ્યું કે પ્રતિકૂળ હવામાનની સ્થિતિના કારણે મુંબઈ એરપોર્ટ પર તમામ પ્રસ્થાન અને આગમન, સાથે જ તેમની પરિણામી ફ્લાઈટ અસર થઈ શકે છે. એરલાઈને સલાહ આપી છે કે 'મુસાફરોને વિનંતી છે કે તેઓ પોતાની ફ્લાઈટની સ્થિતિની તપાસ કરતા રહે.'

મુંબઈ એરપોર્ટ પર ભારે વરસાદ અને ઝડપી પવનના કારણે ખરાબ વિજિબિલિટીના કારણે ગુરુવારે સવારે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ સંચાલન થોડા સમય માટે સસ્પેન્ડ કરી દેવાયું. સવારે 10.55 વાગે વિજિબિલિટી 1000 મીટર અને રનવે વિઝ્યુઅલ રેન્જ (આરવીઆર) 1200 મીટર નોંધાયા બાદ લગભગ 20 મિનિટ બાદ સંચાલન ફરીથી શરૂ થયું. 

આ સાથે જ નાયબ મુખ્યમંત્રી અજીત પવારે કહ્યું, 'આજે સવારથી, હું પોતાના કાર્યાલયથી મહારાષ્ટ્રના જુદા-જુદા જિલ્લા, ખાસ કરીને મુંબઈ, પૂણે, થાણે, કોલ્હાપુર અને સાંગલીમાં પડી રહેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું.' તેમણે કહ્યું કે તમામ જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ અને જિલ્લા તંત્રના સંબંધિત અધિકારીઓને બચાવ અને રાહત કાર્યમાં સહેજપણ મોડું કર્યા વિના લોકોને ઝડપથી જરૂરી મદદ પૂરી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે.'