ભારતને મળી શકે છે પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ, 36 દિવસનો રહેશે કાર્યકાળ, જાણો કોણ છે એ દિગ્ગજ

July 27, 2024

સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની 9 જજોની બેન્ચે કહ્યું કે ખનીજો પર લાગનારી રોયલ્ટીને ટેક્સ માની શકાય નહીં. બેન્ચે 8:1 ના બહુમતથી આપવામાં આવેલા પોતાના નિર્ણયમાં કહ્યું કે ખનીજ પદાર્થો પર ટેક્સ લગાવવાની કાયદાકીય શક્તિ રાજ્યોની પાસે છે અને તેની પર આપવામાં આવતી રોયલ્ટી કોઈ ટેક્સ નથી. 9 જજોની બેન્ચમાં જસ્ટિસ બીવી નાગરત્ના એકમાત્ર જજ હતાં, જેમણે અલગ નિર્ણય આપ્યો. જસ્ટિસ નાગરત્નાએ 193 પેજના પોતાના જજમેન્ટમાં કહ્યું કે ખનીજો પર આપવામાં આવતી રોયલ્ટી ટેક્સના નેચરની છે. જો રાજ્યોને ખનીજ પદાર્થો પર ટેક્સ વસૂલવાની પરવાનગી આપવામાં આવે તો તેનાથી રેવન્યૂ વસૂલવાની હોડ મચી જશે. ઘણી રાજ્ય સરકારો અને કંપનીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં કુલ 86 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું હતું કે ખનીજ પદાર્થો પર રોયલ્ટી અને ખાણો પર ટેક્સ લગાવવાનો અધિકાર રાજ્યોની પાસે હોવો જોઈએ અથવા નહીં. આ મામલે અસંમતિપૂર્ણ નિર્ણય આપનારા જસ્ટિસ બીવી નાગરત્ના પહેલા પણ ઘણા મામલે ડિસેન્ટિંગ જજમેન્ટ આપી ચૂક્યાં છે. જસ્ટિસ નાગરત્ના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનવાની રેસમાં પણ છે. જસ્ટિસ બીવી નાગરત્ના 30 ઓક્ટોબર 1962એ બેંગ્લોરમાં જન્મ્યાં. તેમણે વર્ષ 1984માં દિલ્હી યુનિવર્સિટીના જીસસ એન્ડ મેરી કોલેજથી બીએ ઓનર્સ (હિસ્ટ્રી) નો અભ્યાસ કર્યો. તે બાદ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાં એલએલબીમાં એડમિશન લઈ લીધું. વર્ષ 1987માં એલએલબીનો અભ્યાસ પૂરો કર્યાં બાદ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. વર્ષ 1987થી 1994 સુધીના KESVY & Co ની સાથે કામ કરતાં રહ્યાં. વર્ષ 1994માં સ્વતંત્ર પ્રેક્ટિસ શરૂ કરી.
જસ્ટિસ નાગરત્ના વર્ષ 2008માં પ્રથમ વખત કર્ણાટક હાઈકોર્ટના જજ બન્યા. 18 ફેબ્રુઆરી 2008એ તેમને કર્ણાટક હાઈકોર્ટના એડિશનલ જજ નિમણૂક કરવામાં આવ્યા. તે બાદ 17 ફેબ્રુઆરી 2010એ કર્ણાટક હાઈકોર્ટના કાયમી જજ નિમણૂક થયાં. જસ્ટિસ નાગરત્ના કર્ણાટક જ્યુડિશિયલ એકેડેમીના અધ્યક્ષ અને બેંગ્લોર મેડિએશન સેન્ટરના પ્રેસિડન્ટ પણ રહ્યાં છે.જસ્ટિસ બીવી નાગરત્ના 31 ઓગસ્ટ 2021એ સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થયા. તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એટલે કે CJI બનવાની રેસમાં પણ છે. જસ્ટિસ નાગરત્ના ભારતના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ હશે. જોકે તેમનો કાર્યકાળ માત્ર 36 દિવસનો હશે. તેઓ 24 સપ્ટેમ્બર 2027એ CJI બનશે અને 29 ઓક્ટોબર 2027 સુધી આ પદ પર રહેશે.જસ્ટિસ નાગરત્ના એડમિનિસ્ટ્રેટિવ લો, કોન્સ્ટિટ્યૂશનલ લો, કોમર્શિયલ લો અને ફેમિલી લો જેવા મામલાના એક્સપર્ટ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર જસ્ટિસ નાગરત્ના હજુ સુધી 366થી વધુ બેન્ચનો ભાગ રહી ચૂક્યાં છે અને 53થી વધુ જજમેન્ટ આપી ચૂક્યા છે. જસ્ટિસ નાગરત્નાએ કેન્દ્ર સરકારની નોટબંધીના નિર્ણયને પડકાર આપતી અરજીમાં પણ અસંમતિપૂર્ણ નિર્ણય આપ્યો હતો.