યોગી અને યુપીના બંને ડેપ્યુટી CM વચ્ચે તણાવ વધ્યો: હાઇકમાન્ડ પણ નારાજ

July 27, 2024

લખનૌ : લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં મળેલી હાર બાદ અહીં ભાજપમાં અંદરોઅંદર ખેંચતાણ વધી ગઈ છે. 14 જુલાઈ 2024ના રોજ લખનૌમાં ભાજપની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, એ પછી યુપીમાં રાજકીય ગરમી જોવા મળી રહી હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં રાજકીય ઘટનાક્રમ પર ભાજપ હાઈકમાન્ડની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બેઠકમાં ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્યની ગેરહાજર રહેવાના કારણે ભારતીય જનતા પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી હતી. લોકસભા ચૂંટણીમાં મળેલી હારની સમીક્ષા માટે સીએમ યોગી આદિત્યનાથે યુપીમાં ઘણી જગ્યાએ પાર્ટી નેતાઓ સાથે બેઠકો કરી હતી, જેમાં બંને ડેપ્યુટી સીએમ હાજર રહેતા ન હતા.


સીએમ યોગી આદિત્યનાથ હાલમાં નીતિ આયોગની બેઠકમાં હાજર છે. મુખ્યમંત્રી પરિષદની બેઠક ટૂંક સમયમાં ભાજપના મુખ્યાલયમાં યોજાશે. આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. આ બેઠક શનિવાર અને રવિવાર એમ બે દિવસ ચાલશે. બેઠક માટે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત ભાજપના ઘણા નેતાઓ પાર્ટી ઓફિસ આવી પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની પણ ભાજપ કાર્યાલય પહોંચી ગયા છે.

આ પહેલા પ્રયાગરાજ ડિવિઝનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. ત્યારે પણ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય હાજર રહ્યા નહોતા રહ્યા.  ત્યાર બાદ મુરાદાબાદમાં યોજાયેલ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ હાજરી આપી ન હતી. એ પછી સીએમ યોગીએ શુક્રવારે (26 જુલાઈ 2024) લખનૌ ડિવિઝનમાં એક બેઠક યોજી હતી, પરંતુ આ બેઠકમાં પણ ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક હાજર રહ્યા નહોતા રહ્યા.