ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, નવી એરલાઈન્સ ભારત આવશે: લોકસભામાં સરકારની જાહેરાત

December 09, 2025

ઇન્ડિગો એરલાઇન્સની મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાના અને મુસાફરોને હાલાકી ભોગવવી પડવાના મામલે સરકારે લોકસભામાં આક્રમક વલણ રજૂ કર્યું છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે આ મામલે જવાબદારી નક્કી કરવામાં આવશે અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

લોકસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, 'પ્રારંભિક તપાસમાં ઇન્ડિગોની આંતરિક વ્યવસ્થામાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઇન્ડિગોમાં ફ્લાઇટ ક્રૂના આંતરિક રોસ્ટર અને ડ્યુટી શેડ્યૂલમાં ગંભીર અનિયમિતતાઓ બહાર આવી છે, જેના કારણે સમગ્ર નેટવર્કમાં ચેન રિએક્શન શરૂ થયું હતું. શિયાળાનું સમયપત્રક, ખરાબ હવામાન, ટેકનિકલ ખામીઓ અને હવાઈ ટ્રાફિકની ભીડને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.

નવા નિયમ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, 'પાયલટના થાકને દૂર કરવા માટે નવા નિયમનું પાલન કરવાની ઇન્ડિગોએ ખાતરી આપી હતી, પરંતુ રોસ્ટરની સમસ્યાને કારણે મોટા પાયે ફ્લાઇટ્સ રદ થઈ.'

સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી રામ મોહન નાયડુએ કહ્યું કે, 'ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારી છે. તપાસ પૂર્ણ થયા પછી એરક્રાફ્ટ એક્ટ અને નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઇન્ડિગોને તેની ક્ષમતા અને નેટવર્કનું તાત્કાલિક પુનર્ગઠન કરવાની આદેશ આપવામાં આવ્યો છે.