લગ્નના 1 વર્ષ બાદ સોનાક્ષીએ ભાઈઓ સાથે વિવાદ મુદ્દે મૌન તોડ્યું, કહ્યું- હું ધ્યાન નથી આપતી

June 24, 2025

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. સોનાક્ષીના લગ્ન દરમિયાન એક એવી માહિતી સામે આવી હતી કે, બંને ભાઈ લવ અને કુશ આ લગ્નથી ખુશ નહતા અને બંનેએ લગ્નમાં પણ હાજરી નહતી આપી. હવે સોનાક્ષીએ આ ખબર વિશે પોતાનું મૌન તોડ્યું છે. એક્ટ્રેસનું કહેવું છે કે, આ વિશે હું વધારે નથી વિચારતી. આ સિવાય તેણે પોતાના ભાઈ કુશ સાથે કરેલા કામનો અનુભવ પણ શેર કર્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષીએ કહ્યું કે, 'સાચું કહું તો હું આ વિશે વધારે નથી વિચારતી. હું ફક્ત કામ પર ફોકસ કરી રહી છું.' પોતાના ભાઈ કુશની ફિલ્મ નિકિતા રૉય સાથે કામ કરવા વિશે સોનાક્ષીએ કહ્યું કે, 'મેં અનેક ડિરેક્ટર સાથે કામ કર્યું છે અને મારો હંમેશા પ્રયાસ રહે છે કે હું તેમને સપોર્ટ કરૂ. નવા ડિરેક્ટર્સ ફ્રેશ એનર્જી લઈને આવે છે. કુશને જાણ છે કે, તેને ફિલ્મમાં શું મેળવવાનું છે, તેથી બધાનું જ કામ સરળ થઈ જાય છે.' સોનાક્ષીએ એ પણ કન્ફર્મ કર્યું કે, શૂટિંગ દરમિયાન અમારી વચ્ચે કોઈ કોલ્ડ વૉર ન હતું. મને લાગતું હતું કે, અમારી વચ્ચે નાની-મોટી લડાઈ થશે. પરંતુ, આવું કંઈ ન થયું. સેટ પર અમે વર્ક ઝોનમાં હોઈએ છીએ. ઘણી વસ્તુઓ ચાલી રહી હોય છે, જેના કારણે નાની-મોટી વાતો પર ધ્યાન નથી જતું.'