હરિયાણામાં દાઝેલી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ઍલર્ટ, રાહુલ ગાંધીએ આપી સલાહ, ઓવર કોન્ફિડન્સમાં ન રહેતાં

October 15, 2024

દિલ્હી : હરિયાણામાં જીતને આંખ સામે જોઈને ઉજવણી કરી રહેલી કોંગ્રેસ પરિણામ આવતાં જ ઊંધા માથે પડી હતી. આ કારમી હારને અત્યાર સુધી કોંગ્રેસ પચાવી નથી શકી. આ પરિણામનું કારણ ઓવર કોન્ફિડન્સ પણ માનવામાં આવી રહ્યું છે. જેના લીધે હરિયાણામાં દૂધથી દાઝેલી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવે છે. સોમવારે મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાઓ સાથેની મિટીંગમાં રાહુલ ગાંધીએ સાવચેત કર્યા હતાં, કે તમારે ઓવર કોન્ફિડન્સથી બચવું પડશે. તમે ભેગા થઈને કામ કરો અને કોઈપણ પ્રકારના અતિ આત્મવિશ્વાસથી બચીને રહો. 


નોંધનીય છે કે, ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને પોતાના દમ પર બહુમતથી રોકનારી કોંગ્રેસને આશા હતી કે, તે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં સારા પરિણામ લાવશે. ખાસ કરીને હરિયાણામાં તો પાર્ટીને પોતાના દમ પર સત્તાની આશા હતી, પરંતુ પરિણામે ચોંકાવી દીધા. ભાજપ સતત ત્રીજીવાર હરિયાણામાં જીતી ગઈ. હવે ભાજપને મહારાષ્ટ્રમાં પણ જીતનો વિશ્વાસ જાગી ગયો છે. જો કે, કોંગ્રેસ ત્યાં હજુ ખૂબ જ સાવધાનીથી ચાલી રહી છે. હજુ સુધી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એવા વિશ્વાસમાં નથી કે, તે પહેલાં નંબર પર રહેશે. 

મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણી પણ INDIA ગઠબંધન માટે એક પડકાર છે. ઉદ્ધવ ઠાકરે સૌથી વધારે બેઠક ઇચ્છે છે, જો કે કોંગ્રેસનું કહેવું છે કે, લોકસભા ચૂંટણીના પ્રદર્શનને જોતાં તે સૌથી વધારે બેઠકો પર લડશે. જોકે, આ વાત પર ત્રણેયની વચ્ચે સંમતિ જોવા મળી રહી છે કે, તે કોઈપણ પરિસ્થિતિમાં ચૂંટણીમાં એકસાથે જ ઉતરશે. જણાવી દઈએ કે, મહાવિકાસ અઘાડીને લોકસભા ચૂંટણીમાં સારી સફળતા મળી હતી. રાજ્યની 48માંથી 31 બેઠકો પર ગઠબંધન જીત્યું હતું. વળી, ભાજપના નેતૃત્વવાળી એનડીએને ફક્ત 17 બેઠક પર જ જીત મળી હતી. ત્યારથી રાજ્યમાં INDIA ગઠબંધન ઉત્સાહમાં છે, પરંતુ હરિયાણાના પરિણામે રાહુલ ગાંધીથી લઈને તમામ પાર્ટીને ઍલર્ટ કરી દીધા છે.