અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'

May 10, 2025

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ ઓપરેશન સિંદૂર પર પોતાની એક ટ્વિટના કારણે ખૂબ જ ટ્રોલ થઇ રહ્યો છે. પૂર્વ ક્રિકેટરે ટ્વિટમાં એવું લખ્યું હતું કે, 'આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી બનાવી દેશે'. તેની ટ્વિટ જોતા એવું લાગી રહ્યું હતું કે તે ઓપરેશન સિંદૂરથી ખુશ નથી. આ કારણે જ ભૂતપૂર્વ બેટર એટલો ટ્રોલ થયો કે તેણે પોતાની ટ્વિટ ડીલીટ કરવી પડી અને આ અંગે સ્પષ્ટતા પણ કરવી પડી હતી. વિવાદ વધ્યા બાદ ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટર અંબાતી રાયડુએ X પર સ્પષ્ટતા આપતા લખ્યું કે, 'હું સરહદ પરની પરિસ્થિતિ પર મારી તાજેતરની ટિપ્પણી અંગે સ્પષ્ટ કરવા માંગુ છું, જેનાં કારણે ગેરસમજ થઇ છે. મારો આવો કોઈ ઈરાદો નહોતો અને હું આ સ્પષ્ટ કરવા માંગુ છું. આ સંવેદનશીલ સમયમાં, હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ મારી સરકાર સાથે ઉભો છું, જે ઓપરેશન સિંદૂર દ્વારા મજબૂત કાર્યવાહી કરી રહી છે. હું આપણી બહાદુર ભારતીય સેના સાથે ઉભો છું અને મારા સાથી નાગરિકોની લાગણીઓમાં સંપૂર્ણ રીતે સહભાગી છું. જય હિન્દ. જય ભારત'. તેના થોડા સમય પછી રાયડુએ બીજી પોસ્ટ કરી કે, 'આ નબળાઈ નથી, પરંતુ શાણપણની યાદ અપાવે છે. ન્યાય મજબૂત હોવો જોઈએ, પરંતુ આપણે માનવતાને ભૂલવી ન જોઈએ. આપણે આપણા દેશને પ્રેમ કરી શકીએ છીએ અને આપણા દિલમાં કરુણા પણ રાખી શકીએ છીએ. દેશભક્તિ અને શાંતિ એક સાથે થઇ શકે છે.' રાયડુની આ પોસ્ટના કારણે લોકો તેને ભારે ટ્રોલ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે રાયડુ ઓપરેશન સિંદૂરથી ખુશ નથી. જેના કારણે ભારતીય પૂર્વ ક્રિકેટરે સ્પષ્ટતા આપવી પડી હતી.