ભારતના ચીન સહિતના પાડોશી દેશો માટે એફડીઆઈના નિયમો હળવા કરાયા

March 11, 2026

નવી દિલ્હી : સરકારે મંગળવારે ચીન સહિત ભારતની સાથે જમીન સરહદ ધરાવતા તમામ દેશો માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) નિયમો સરળ બનાવી દીધા છે તેમ સૂત્રોએ એક નિવેદનમાં જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ સંબધમાં ૨૦૨૦ની પ્રેસ નોટ-૩માં સંશોધન કરવામાં  આવ્યું છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. 

જો કે માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેબિનેટનાં નિર્ણયો પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ સંબધમાં કોઇ જાહેરાત કરી નથી.  ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી)એ જણાવ્યું છે કે મંત્રીમંડળ દ્વારા આજે કોઇ એવી જાહેરાત કરવામાં આવી નથી. 

ઉલ્લેખનીય છે કે ડીપીઆઇઆઇટી વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયનું એકમ છે જે ફોરન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)થી સંબધિત કેસોને સંભાળે છે.આ પ્રેસ નોટ હેઠળ ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશોનાં શેરધરાકોવાળી  વિદેશી કંપનીઓને ભારતમાં કોઇ પણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે સરકાર પાસેથી ફરજિયાતપણે મંજૂરી લેવાની જરૂર છે.  ભારત સાથે જમીન સરહદ દેશોમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.