સૂર્યાના શાનદાર કેચ પર વિવાદ વચ્ચે દ.આફ્રિકાના દિગ્ગજનું મોટું નિવેદન- કહ્યું 'એ કેચ ખરેખર તો..'

July 03, 2024

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે 29મી જૂને જ ઈતિહાસ રચી દીધો. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દ.આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત ટાઇટલ જીત્યું હતું. આ જીત બાદ વિરાટ કોહલીની બેટિંગ સિવાય હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહની બોલિંગની પણ ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ છેલ્લી ઓવરના પહેલા બોલ પર સૂર્યકુમાર યાદવે પકડેલા ડેવિડ મિલરના કેચની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. સૂર્યાએ આ કેચ બાઉન્ડ્રી પર લીધો, જે મેચ વિનર હતો. પરંતુ હવે ઘણા લોકો આ કેચની ટીકા કરી રહ્યા છે. ટીકાકારોએ આ કેચને ખોટો ગણાવ્યો છે. તેમાંથી કેટલાકનું માનવું છે કે કેચ દરમિયાન સૂર્યાનો પગ બાઉન્ડ્રીને સ્પર્શી ગયો હતો. જ્યારે કેટલાક લોકો કહી રહ્યા છે કે કેચ પહેલા બાઉન્ડ્રી લાઇનને પાછળ ધકેલી દેવામાં આવી હતી. આ દાવાની સાથે કેટલાક લોકો ફોટા પણ શેર કરી રહ્યા છે. બાઉન્ડ્રીને સ્પર્શ કરવાના મુદ્દે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શોન પોલોક સહિત ઘણા દિગ્ગજોએ યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે આ કેચને યોગ્ય ગણાવી ટીકાકારોને જડબાતોડ જવાબ આપી દીધો છે.  તેમણે કહ્યું કે એ કેચ ખરેખર તો યોગ્ય જ હતો. હવે જ્યાં સુધી સીમા રેખાને પાછળ ધકેલી દેવાની વાત છે તો આ વિવાદ પણ ખોટો છે.  ખરેખત તો ફોટો શેર કરતા ઘણાં લોકોએ દાવો કર્યો હતો કે જ્યારે સૂર્યાએ કેચ લીધો ત્યારે ત્યાં બે બાઉન્ડ્રી લાઇન દેખાતી હતી. સફેદ રંગની પટ્ટી રેખાના રૂપમાં દેખાય છે. તેની પાછળ એક અલગ બાઉન્ડ્રી દેખાય છે. ટીકાકારો દાવો કરે છે કે વાસ્તવિક બાઉન્ડ્રી તે સફેદ રેખા હતી, પરંતુ છેલ્લી ઓવર પહેલા બાઉન્ડ્રી તે સફેદ રેખા પાછળ ખસેડવામાં આવી હતી. જ્યારે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. સત્ય એ છે કે આ મેદાન પર રમાયેલી ફાઈનલ પહેલાની મેચમાં સફેદ રેખા બાઉન્ડ્રી હતી. એ મેચમાં બાઉન્ડ્રી માત્ર તે સફેદ રેખા સુધી જ હતી. પરંતુ ફાઈનલમાં પીચ પ્રમાણે બાઉન્ડ્રી નાની દેખાતી હતી, તેથી ટાઈટલ મેચ પહેલા જ બાઉન્ડ્રીને સફેદ રેખા પાછળ ખસેડવામાં આવી હતી.એટલે કે ફાઈનલ મેચ પહેલા જ સફેદ રેખા પાછળની બાઉન્ડ્રી નક્કી કરવામાં આવી હતી, જે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમો માટે સમાન હતી. સૂર્યાના કેચ પછી, ટીકાકારોએ તેની નોંધ લીધી અને પછી તેના પર હંગામો મચાવ્યો હતો.