થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું

July 29, 2025

ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચામાં કોંગ્રેસ તરફથી સામેલ થતાં અટકાવવામાં આવતાં સાંસદ શશિ થરુર બાદ મનિષ તિવારીએ પણ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસે આ ચર્ચામાં એવા નેતાઓને ભાગ લેતાં અટકાવ્યા હતા, જેઓ વિશ્વભરમાં ઓપરેશન સિંદૂર વિશે જાગૃત્તિ ફેલાવનારા પ્રતિનિધિમંડળમાં સામેલ હતા. પરંતુ સુત્રો અનુસાર, મનિષ તિવારી આ ચર્ચામાં ભાગ લેવા માગતાં હતા.  પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ મનિષ તિવારીએ સોશિયલ મીડિયા પર x પર પૂરબ ઓર પશ્ચિમ(1970)નું પ્રચલિત દેશભક્તિ ગીત 'હૈ પ્રીત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કે ગાતા હું, ભારત કા રહને વાલા હું, ભારત કી બાત સુનાતા હું' પોસ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે, આ પ્રતિનિધિમંડળમાં તિરુવનંતપુરમના સાંસદ શશિ થરુર, ચંદીગઢ સાંસદ મનિષ તિવારી, ફતેહગઢ સાહિબના સાંસદ અમર સિંહ સામેલ હતાં. તદુપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને સલમાન ખુર્શીદ સામેલ હતાં. કોંગ્રેસના એક સાંસદે જણાવ્યા પ્રમાણે, વિપક્ષે ચર્ચા દરમિયાન સંસદમાં બોલવા માટે નવા સાંસદોની પસંદગી કરી હતી, કારણકે વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા પ્રતિનિધિમંડળોએ સરકારના પક્ષમાં વાત કરી હતી. જેથી સદનમાં સરકારને સામે સવાલો કરી શકે તેવા લોકોની જરૂરિયાત સાથે આ સાંસદોને દૂર રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, હવે વિપક્ષ અને ભારતના લોકોની ચિંતાઓને અવાજ આપવાનો સમય આવી ગયો છે, આથી પક્ષે સદનમાં બોલવા માટે નવા લોકોની પસંદગી કરી. નોંધ લેવી કે, કોંગ્રેસ પાર્ટી શરુઆતથી જ કેન્દ્રના 33 દેશો સુધી પહોંચવાના કાર્યક્રમની ટીકા કરી રહી છે.