બલુચિસ્તાનમાં ફરી ખૂની ખેલ, 6 મુસાફરોને બસમાંથી ઉતારી મોતને ઘાટ ઉતારાયા, 3ના અપહરણ

March 28, 2025

પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતમાં અવાર-નવાર હુમલો થતા પાકિસ્તાન સરકારના નાકે દમ આવી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ હથિયારધારીઓએ કરાંચી જઈ રહેલી એક બસમાંથી છ મુસાફરોને ઉતારીને ગોળીઓ ધરબી દીધી છે. ગ્વાદરના નાયબ કમિશનર હમૂદુર રહેમાનને ટાંકીને જિયો ન્યૂઝે કહ્યું કે, હથિયાર સાથે આવેલા લોકોએ ગ્વાદર જિલ્લાના કલમત વિસ્તારમાં એક બસને અટકાવ્યા બાદ તેમાંથી છ મુસાફરોને નીચે ઉતાર્યા હતા અને તેઓની ગોળીઓ મારી હત્યા કરી દીધી હતી.

પાકિસ્તાનના ડૉન સમાચાર પત્રના રિપોર્ટ મુજબ, હથિયારધારી લોકોએ મુસાફરોને ઉતારીને તેમના ઓળખપત્રની તપાસ કરી હતી, બાદમાં તેમની હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં અન્ય ત્રણ મુસાફરોને પણ સાથે લઈ ગયા. રિપોર્ટમાં એક અધિકારીને ટાંકીને કહેવાયું છે કે, મુસાફરો પંજાબ પ્રાંતના હતા. હાલ કોઈપણ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી, જોકે અગાઉ બલૂચ આતંકવાદી જૂથોએ પંજાબના લોકો વિરુદ્ધ આવા હુમલા કર્યા હતા.