મૃત્યુ પામેલા વકીલોના વારસોને BCGની દોઢ કરોડની સહાય

January 29, 2023

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (બીસીજી)ની એડમિનિસ્ટ્રેટિવ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 53 ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે રુ. દોઢ કરોડ જેટલી રકમ ચુકવવામાં આવશે. આ તમામ ધારાશાસ્ત્રીઓ બીસીજીના ગુજરાત એડ્વોકેટ વેલ્ફેર ફંડના નિયમિત સભ્ય હતા અને નિયમિત રીતે રિન્યુઅલ ફી ચુકવનાર અને પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશનનુ ફોર્મ ભરતા હતા. મહત્વનુ છે કે, છેલ્લા ત્રણ માસમાં ગુજરી ગયેલા 91 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોએ મૃત્યુ સહાય મેળવવા માટે બીસીજીને અરજી કરેલી. જેમાંથી, બીસીજીએ 53 ધારાશાસ્ત્રીઓના વારસદારોની અરજી અંગે નિર્ણય લીધો છે.

બીસીજીના વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરેલ ન હોય તેમજ પ્લેસ ઓફ પ્રેક્ટિસ વેરિફિકેશનનુ ફોર્મ ન ભરનારા બાકીના 38 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોની મૃત્યુ સહાય મેળવવા માટેની અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવેલી છે. આ મુદ્દે બીસીજીના ચેરમેન અનિરુદ્ધસિંહ એચ. ઝાલા, એડમિનિસ્ટ્રેટિવ કમિટીના સભ્યો અનિલ સી. કેલ્લા, કિશોરકુમાર આર. ત્રિવેદી, સી. કે. પટેલ સહિતનાઓની હાજરીમાં મિટીંગ યોજાયેલી. મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને હાલમાં રુ. 3.50 લાખ મૃત્યુ સહાય ચુકવાય છે. અત્યાર સુધીમાં રુ. 65 કરોડ જેટલી રકમ ચુકવાઈ છે.