'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ

August 30, 2026

અપહરણ કરી જંગલમાં જીવતી સળગાવી, મનજીતે નિવેદન નોંધાવવા ઈચ્છતી હતી પણ પોલીસ ન આવી

દિલ્હી : પંજાબી ઈન્ફ્લુએન્સર મનજીત કૌરના મોતના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઘટના સમયે તે 7 અઠવાડિયાની ગર્ભવતી હતી. મનજીતની માતાએ આરોપ લગાવ્યો છે કે, તેનું અપહરણ કરીને જંગલમાં ઝાડ સાથે બાંધી જીવતી સળગાવી દેવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત થતાં પોલીસે અપહરણ અને હત્યાનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.


મૃતકની માતા કાંતા દેવી અનુસાર, રિંકુ નામનો યુવક તેની દીકરી સાથે લગ્ન કરવા તૈયાર નહોતો અને ગર્ભપાત કરાવવા દબાણ કરતો હતો. પરિવારે આ મામલે અમૃતસરની રહેવાસી નેહા પર પણ આક્ષેપો કર્યા છે, જોકે તેણે આ અંગે અજાણ હોવાનું જણાવ્યું છે. પોલીસ આ બંનેની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. સેક્ટર-34 પોલીસ સ્ટેશનના એસએચઓ ઈન્સ્પેક્ટર શાદી લાલ આ કેસની તપાસ કરી રહ્યા છે. 3 જુલાઈની રાત્રે શુભી અને પિંદા નામના શખ્સોએ મનજીતને સેક્ટર-34 ખાતે બોલાવી મારપીટ કરી હતી. ત્યારબાદ કારમાં અપહરણ કરી મોરિન્ડાના જંગલમાં લઈ જઈ ઝાડ સાથે બાંધી આગ લગાવી દીધી હતી. ત્યાં પહોંચેલા એક પરિચિતે ધાબળો નાખી આગ ઓલવી તેને હોસ્પિટલ પહોંચાડી હતી. ગંભીર હાલતમાં તેને મોહાલીની મેક્સ હોસ્પિટલ અને ત્યારબાદ 9 જુલાઈએ પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.


શરૂઆતમાં મૃતકની બહેને ઘરમાં આગ લાગી હોવાની માહિતી આપી હોવાથી મામલો ખરડ સદર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જેની પણ તપાસ થઈ રહી છે. પીજીઆઈમાં 5 ઓગસ્ટે ભાનમાં આવ્યા બાદ મનજીતે નિવેદન નોંધાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને હોસ્પિટલ ચોકી દ્વારા તપાસ અધિકારી એએસઆઈ કુલવિંદર સિંહને જાણ પણ કરાઈ હતી. આરોપ છે કે તેમ છતાં તેઓ નિવેદન લેવા પહોંચ્યા નહોતા.
લાંબી સારવાર બાદ 26 ઓગસ્ટે મનજીતનું પીજીઆઈમાં મોત થયું હતું. માતાના નિવેદનના આધારે પોલીસે શુભી, પિંદા અને અન્ય સામે અપહરણ તથા હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસ હાલ ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે તેમજ કોલ ડિટેલ અને સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર ષડયંત્ર પાછળનું સાચું કારણ સ્પષ્ટ કરવા પ્રયાસ કરી રહી છે.