72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા

September 08, 2026

ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત એવા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ અંગે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. દાયકાઓથી ચાલી આવતી પરંપરાનો અંત લાવીને આ વખતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીની બહાર યોજવામાં આવે તેવી શક્યતા છે. આગામી એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાનગર ખાતે થઈ શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાના અંત સુધીમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ એકતાનગર ખાતે વિજેતા કલાકારોને એવોર્ડ એનાયત કરી શકે છે. જો આમ થશે તો ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ એક નવી જ શરૂઆત ગણાશે અને ગુજરાતને આ ભવ્ય સમારંભની યજમાની કરવાની મોટી તક મળશે.

નોંધનીય છે કે અત્યાર સુધીના ઈતિહાસમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ માત્ર દિલ્હીમાં જ યોજાતા આવ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન આ કાર્યક્રમનું સાક્ષી રહ્યું છે, જ્યાં રાષ્ટ્રપતિના હસ્તે જ ફિલ્મી સિતારાઓને સન્માનિત કરવામાં આવે છે.

જો આ વખતનો સમારોહ દિલ્હીને બદલે ગુજરાતમાં યોજાશે તો તે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય બની રહેશે. જોકે, આ ઐતિહાસિક ફેરફારના કારણે ગુજરાતનો વિરોધ કરતા રાજકીય નેતાઓ દ્વારા મોટો વિવાદ ઊભો કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે.