કોરોનાનો રાફડો ફાટ્યો! 146 દિવસમાં સૌથી વધુ કેસ, 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 1590 થઈ, 6નાં મોત

March 25, 2023

નવી દિલ્હી : દેશમાં કોરોના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે.  છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યા 1,590 થઈ ગઈ છે. આ કેસોની સંખ્યા છેલ્લા 146 દિવસમાં સૌથી વધુ છે. હાલ સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 8,601 થઈ ગઈ છે. આજે સવારે આઠ વાગ્યે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં ત્રણ તેમજ કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં એક-એક દર્દીના કોરોના વાયરસના કારણે મૃત્યુ થયા હતા. જે બાદ મૃત્યુઆંક વધીને 5,30,824 થઈ ગયો છે.

આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 4.47 કરોડ થઈ ગઈ છે. જ્યારે કોરોનામાંથી સાજા થવાનો દર 98.79 ટકા નોંધાયો છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4.41 કરોડ થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.