હનુમાનજી સાથે વાતોના દાવા કરનારા ધીરેન્દ્ર શાસ્ત્રીનું આવ્યું મોટું નિવેદન, મચ્યો હડકંપ

January 24, 2023

 તાજેતરમાં જ પોતાના નિવેદનો અને કહેવાતા ચમત્કારો બતાવવાના દાવાઓને કારણે ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફરી એક વખત નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વિવાદાસ્પદ નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝનું સૂત્ર હતું કે, 'તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગા' હવે મારું પણ એવું જ સૂત્ર છે કે 'તુમ હમારા સાથ દો, હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેગેં' બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને કહ્યું કે, આ સૂત્ર દેશભરમાં ફેલાવવા માટે એક થવું જોઈએ. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, માત્ર બાગેશ્વર ધામ પર જ આરોપો નથી લગાવવામાં આવ્યા આ એક રીતે સમગ્ર હિંદુ ધર્મ પર આંગળી ચીંધવા જેવી વાત છે. એટલા માટે ભારતના લોકોએ ઘરની બહાર આવીને આનો જવાબ આપવો પડશે. આ પછી પણ જેઓ આગળ નહીં આવે તો તેઓ કાયર ગણાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ લોકોને મોબાઈલ દ્વારા આ સ્લોગન આખા દેશમાં પહોંચાડવા અપીલ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, આ દેશમાં એવો કોઈ મહાપુરુષ નથી કે જેના પર કોઈ આરોપ ન લગાવવામાં આવ્યો હોય. મીરાં હોય, રૈદાસ હોય, કબીર હોય કે તુલસીદાસ હોય બધાએ યોગ્ય સાબિત થવું પડ્યુ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, લોકો મને પૂછતા હતા કે બાબા શું ચમત્કાર કરો છો. હું આ વ્યાસપીઠમાંથી આવા તમામ લોકોને કહેવા માંગુ છું કે, સૌથી મોટો ચમત્કાર એ થયો છે કે આજે આખા દેશના હિંદુઓ એક થઈ ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, જો કોઈને બીજો ચમત્કાર જોવો હોય તો બાગેશ્વર ધામ સરકારના દરબારમાં આવે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે જો કોઈની અંદર સનાતની હિંદુનું એક ટીપું પણ હોય તો અમને સમર્થન આપવું જોઈએ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તેઓ ક્યારેય નેતા નહીં બને અને ક્યારેય પોતાનો કોઈ પક્ષ નહીં બનાવશે.