ભૂકંપ- મ્યાનમારમાં 100થી વધુ મોત, બેંગકોકમાં ધરાશાયી ઈમારત નીચે 91 ફસાયા

March 28, 2025

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક ચાર જોરદાર ભૂકંપ આવ્યા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના કારણે હજારો ઈમારતો ધ્રુજી ગઈ હતી. એટલું જ નહીં, મ્યાનમારમાં અનેક ઈમારતો ધરાશાયી થયાના પણ અહેવાલ છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત થાઈલૅન્ડના બેંગકોકમાં પણ અનેક લોકોએ ધ્રુજારી અનુભવી હતી.  
ભૂકંપના કારણે મ્યાનમારમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે, આ ઉપરાંત થાઈલેન્ડમાં ધરાશાયી થયેલી બહુમાળી ઈમારત નીચે 91 લોકો ફસાયા હોવાના અને ત્રણ લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. જ્યારે ચીનમાં પણ બે લોકોના મૃત્યુ થયા છે.