'ઈડીના સમન્સનું દરેકે સન્માન કરવું પડશે..' મહત્ત્વપૂર્ણ કેસમાં સુપ્રીમકોર્ટની ટિપ્પણીથી કેજરીવાલ ટેન્શનમાં!

February 28, 2024

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને સુપ્રીમ કોર્ટે મંગળવારે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે જો કોઈને PMLAની કલમ 50 હેઠળ સમન્સ મોકલવામાં આવે છે તો તેમણે સમન્સનું સન્માન કરવું પડશે અને તેનો જવાબ પણ આપવો પડશે. મહત્વની વાત એ છે કે કોર્ટની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સતત 8 વખત સમન્સ પાઠવ્યા છતાં તેઓ ED સમક્ષ હાજર નથી થયા. EDએ મદ્રાસ હાઈકોર્ટના એક આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે કથિત રેતી ખનન કૌભાંડમાં તમિલનાડુના 5 જિલ્લા કલેક્ટરોને જારી કરાયેલા સમન્સ પર રોક લગાવી દીધી હતી. તમિલનાડુ સરકારે ED દ્વારા જારી કરાયેલા સમન્સને હાઈકોર્ટમાં પડકાર્યો હતો જેના પર બાદમાં ડિવિઝન બેન્ચે રોક લગાવી દીધી હતી.
હવે EDએ વચગાળાના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે રોક હટાવી દીધી છે અને જિલ્લા કલેક્ટરોને ED સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિત્તલની બેન્ચ કરી રહી હતી. બેન્ચે કહ્યું કે, એવું અવલોકન કરવામાં આવ્યું છે એક્ટ હેઠળ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન ED કોઈપણ વ્યક્તિને પુરાવા રજૂ કરવા અથવા હાજર રહેવા માટે બોલાવી શકે છે. આગળ કહેવામાં આવ્યું કે, જેને પણ સમન્સ જારી કરવામાં આવે છે તેમના પર અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ EDના સમન્સનો આદર કરે અને તેનો જવાબ આપે. PMLA ની કલમ 50 હેઠળ ED જે પણ વ્યક્તિની હાજરીને તપાસ દરમિયાન જરૂરી માને છે તેને સમન્સ જારી કરી શકે છે.