પ્રસિદ્ધ કથાવાચક જયા કિશોરી થયા જોરદાર ટ્રોલ, ગાયના ચામડાથી બનેલી રૂ.2 લાખની બેગ વાપરવાનો આરોપ

October 28, 2024

આધ્યાત્મિક ઉપદેશક અને કથાવાચક જયા કિશોરી તેમના અનુયાયીઓને મોહ-માયાથી દૂર રહીને સાદું જીવન જીવવાની સલાહ આપે છે. પરંતુ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કથાકાર 2 લાખથી વધુની કિંમતની બેગ વાપરે છે.  29 વર્ષીય કથાવાચક જયા કિશોરી તેમની કસ્ટમાઇઝ્ડ બેગ સાથે એરપોર્ટ પર દેખાયા હતા. જે બાદ તે ટ્રોલના નિશાના પર આવ્યા છે. બેગની બ્રાન્ડ પ્રમાણે વેબસાઈટ પર સર્ચ કરવાથી જાણવા મળે છે કે વીડિયોમાં દેખાતી ટોટબેગ ગાયના ચામડામાંથી બનેલી છે. તેમજ તેની કિંમત પણ 2 લાખ રૂપિયાથી વધુ છે. આ વીડિયોને શેર કરતી વખતે યુઝરે લખ્યું કે, 'આધ્યાત્મિક કથાવાચક જયા કિશોરીએ કે જેઓ સાદગીપૂર્ણ જીવનનો ઉપદેશ આપે છે તેમણે તેનો એક વીડિયો ડિલીટ કરી દીધો છે, જેમાં તેઓ રૂ.2,10,000ની કિંમતની બેગ સાથે જોવા મળ્યા હતા.  સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. X યુઝર વીણા જૈને લખ્યું કે, 'વિવાદ બાદ જયા કિશોરીએ સોશિયલ મીડિયા પરથી પોતાનો વીડિયો હટાવી દીધો છે. તે પોતે જ બિન-ભૌતિકવાદનો પ્રચાર કરતા દેખાય છે અને તેઓ પોતાને ભગવાન શ્રીકૃષ્ણની ભક્ત પણ કહે છે. બીજી એક વાત: આ બ્રાન્ડેડ બેગ વાછરડાના ચામડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેની કિંમત રૂ. 2 લાખથી વધુ છે.'  અન્ય યુઝરે લખ્યું, 'જયા કિશોરી લોકોને ભૌતિકવાદી ન બનવાનું કહે છે, તેમ છતાં તે પોતે 2 લાખથી વધુની કિંમતની વૈભવી બેગ વાપરે છે. બધા ઉપદેશકો એવા છે જેઓ પૈસા કમાવવા અને વૈભવી જીવનશૈલી જીવવા માટે આપણા ધર્મનો ઉપયોગ કરે છે.'