અમદાવાદમાં મેઘરાજાનું તાંડવ, અનંત નેશનલ યુનિવર્સિટી પાછળ ખેતરો તળાવમાં ફેરવાયા

July 25, 2026

અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનંત નેશનલ યુનિવર્સિટી પાછળ આવેલા વિસ્તારોમાં ભારે પાણી ભરાતા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આ વિસ્તારના ડ્રોન દૃશ્યોમાં વરસાદી પાણીનો વ્યાપ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

ઘુમાથી મણિપુરને જોડતા માર્ગની આસપાસ આવેલા ખેતરો સંપૂર્ણપણે જળમગ્ન બન્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ચિંતા વધી છે. બીજી તરફ સંસ્કારધામ પાછળ AUDA દ્વારા નવનિર્મિત તળાવ પણ વરસાદી પાણીથી છલકાઈ ગયું છે.

ભારે વરસાદને પગલે અનંત નેશનલ યુનિવર્સિટી પાછળના તમામ માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ વરસાદી માહોલ યથાવત રહેતાં નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.