કુવૈતમાં સર્જાયો અગ્નિકાંડ: 40 ભારતીયો સહિત 43ના મોત, PM મોદી-જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું

June 12, 2024

કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે સવારે ઈમારતમાં ભીષણ આગ લાગી છે, જેમાં 40 ભારતીય સહિત 43 લોકોના કરૂણ મોત થયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, દક્ષિણ કુવૈતના મંગાફ શહેરમાં બુધવારે સવારે એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. આ બિલ્ડિંગમાં ભારત અને એશિયાના શ્રમિકો રહે છે. આગની ઘટમાં 43 લોકોના મોત અને 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં સરકારે બિલ્ડિંગના માલિક અને શ્રમિકો માટેની જવાબદારી રાખતા કંપનીઓના માલિકની ધરપકડ કરવા આદેશ આપ્યો છે. બીજી તરફ ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આગની ઘટના અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ.જયશંકરે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.

મેજર જનરલ રશીદ હમદે કહ્યું કે, ‘ઘટના અંગે અધિકારીઓને આજે સવારે 6.00 કલાકે માહિતી મળી હતી. ત્યારબાદ રાહત અને બચાવનું કામ પુરજોશમાં શરૂ કરી દેવાયું છે. અમને મળેલી માહિતી મુજબ બિલ્ડિંગના એક ફ્લેટના કિચનથી આગની શરૂઆત થઈ હતી, ત્યારબાદ આખા ઈમારતમાં ફેલાઈ ગઈ. આ ફ્લેટમાં કેરળના રહેવાસી વ્યક્તિનો છે. આ બિલ્ડિંગમાં મોટાભાગના દક્ષિણ ભારતના લોકો જ હતા. ઘટનામાં 40 ભારતીયોના મોત થયા છે, જેમાં કેટલાક મૃતકો કેરળના છે.’
 
કુવૈતના નાયબ વડાપ્રધાન ફહદ યૂસુફ અલ સબા ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગના કારણોની તપાસ કરવા પોલીસને આદેશ આપી દીધો છે. એક વિરષ્ઠ પોલીસ કમાન્ડરે સ્ટેટ ટીવીને કહ્યું કે, જે બિલ્ડિંગમાં આગ લાગી, તેમાં શ્રમિકોના ક્વાર્ટર બનાવાયેલા છે. ઘટના સમયે ઘણા શ્રમિકો બિલ્ડિંગમાં હતાં. બચાવ કર્મચારીઓએ ડઝનથી વધુ લોકોને બચાવી લીધા છે, જોકે ભિષણ આગના ધુમાડાના કારણે ઘણા લોકોના ગુંગળાઈને મોત થયા છે. કુવૈતના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આગમાં લગભગ 43 લોકોનો હોસ્પિટલમાં ખસેડાયા છે.

ઘટનનાની જાણ થતાં કુવૈત સ્થિત ભારતીય રાજદૂત ત્યાં પહોંચી ગયા છે. આ ઉપરાંત દૂતાવાસે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +965-65505246 જારી કર્યો છે. બિલ્ડિંગમાં રહેતા તમામ લોકોના અપડેટ માટે આ હેલ્પલાઈન નંબર પર કૉલ કરવા વિનંતી કરાઈ છે. દૂતાવાસે એમ પણ કહ્યું કે, અમે તમામ પ્રકારની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.


કુવૈત ટાઈમ્સના આહેવાલો મુજબ કુવૈતના ગૃહમંત્રી શેખ ફહાદ અલ-યુસેફ અલ-સબાહે મંગાફ બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવા પોલીસને આદેશ કર્યો છે. આ ઉપરાંત ઘટનાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રમિકો માટેના જવાબદાર કંપનીના માલિક અને બિલ્ડિંગના માલિકની ધરપકડ કરવાનો આદેશ અપાયો છે. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું કે, ‘આજે જે કંઈ પણ થયું તે કંપની અને બિલ્ડિંગના માલિકોની લાલચનું પરિણામ છે.’ તેમણે આવી ઘટના ફરી ન બને તે માટે તમામ સુરક્ષા નિયમો પુરા કરવા આદેશ આપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈત આગને લઈને ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, ‘કુવૈત શહેરમાં આગની ઘટના દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.’