ગુજરાતમાં શનિવારથી ગરમી ઘટશે,કચ્છ-સૌરાષ્ટ્રમાં 40થી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ

May 24, 2023

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ નોંધાઈ રહ્યાં છે. હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં શનિવારથી ગરમીથી રાહત મળશે. શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જૂનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડાની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય થઈ શકે છે વાવાઝોડુ જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. સ્થાનિક  હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે આ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 26 મેના રોજ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. હવામાન વિભાગ પ્રમાણે શનિવારથી ગરમીની તીવ્રતામાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે લોકોને ભારે ગરમી સામે થોડી રાહત મળશે. લોકો પ્રી-મોન્સૂન એક્ટિવિટીની રાહ જોઈ રહ્યા છે. જોકે, હાલ તુરંત આવી કોઈ એક્ટિવિટી શરૂ થાય તેવી કોઈ શક્યતા નથી. 
દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં પલટો આવ્યો છે. આજ રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.