ગૃહમંત્રી અમિત શાહ 18 અને 19 માર્ચે આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત

March 15, 2023

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ 18 અને 19મી તારીખે ગુજરાતના મહેમાન બનશે. આ દરમિયાન તેઓ લોકસભા મત વિસ્તારમાં ઘણી બેઠકો યોજશે. તો કલોક ખાતે પણ અધિકારીઓ સાથે મિટિંગ યોજશે. કેન્દ્રીય ગૃહમંત્રીની શનિવારે સક્રિય હાઉસ ખાતે બેઠક યોજાશે, જેમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના વિકાસના કામો અંગે ચર્ચા થશે. અમિત શાહના આગમનને લઈ ગાંધીનગર લોકસભાનું વહિવટી તંત્ર પણ સક્રિય થઈ ગયું છે.

અધિકારીઓએ આજે જાણકારી આપતા જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન અમિત શાહ જૂનાગઢ જિલ્લા બેંક હેડક્વાર્ટરનો શિલાન્યાસ કરશે અને સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી જૂનાગઢમાં APMC કિસાન ભવનનું ઉદ્ઘાટન કરશે અને જૂનાગઢ જિલ્લા બેંકના મુખ્યાલયનો શિલાન્યાસ પણ કરશે. 

અધિકારીઓએ જણાવ્યું કે, સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા ઉપરાંત તેઓ સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ લોન્ચ કરશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાંજે અમિત શાહ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન ડેરી ઉદ્યોગ સંમેલન તેમજ બે વિશ્વ વિદ્યાલયોના દિક્ષાંત સમારોહ સહિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. ગૃહમંત્રી 18 માર્ચે ભારતીય ડેરી એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં યોજાનારી 49મા ડેરી ઉદ્યોગ સંમેલનમાં ભાગ લેશે. તેઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠકમાં હાજરી આપશે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફ્રી ફૂડ ડ્રાઇવ શરૂ કરાવશે, એમ અધિકારીએ જણાવ્યું છે.